Loading Please Wait !!!
રાહુલ ગાંધીની ગ્રેટ નિકોબારમાં ‘ગર્જના’: ₹81,000 કરોડના પ્રોજેક્ટને ગણાવ્યું ‘કુદરતી કૌભાંડ’, આદિવાસીઓના અસ્તિત્વ પર તોળાતો ખતરો

 

  • કેમ્પબેલ બેની મુલાકાત બાદ સરકાર પર આકરા પ્રહાર- 160 ચોરસ કિમીના જંગલોના નિકંદન સામે ઉઠાવ્યો વાંધો; ઇન્દિરા પોઇન્ટ પર આપી શ્રદ્ધાંજલિ

  • નિકોબારી સમુદાયની વ્યથા સાંભળી પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ ભાવુક- મોટા ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા આદિવાસીઓની જમીન છીનવવાનો આક્ષેપ

  • સરકારના ₹81,000 કરોડના ગ્રાન્ડ પ્લાન સામે કોંગ્રેસનો મોરચો- આધુનિક પોર્ટ અને શહેરના નામે અમૂલ્ય વનરાજીના વિનાશનો ભય

    કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અંદામાન-નિકોબાર ટાપુઓના વ્યૂહાત્મક મહત્વ ધરાવતા 'ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ' સામે રણશિંગુ ફૂંક્યું છે. હાલમાં જ ગ્રેટ નિકોબારના કેમ્પબેલ બે અને ભારતના દક્ષિણ છેડે આવેલા ઇન્દિરા પોઇન્ટની મુલાકાત લીધા બાદ તેમણે આ પ્રોજેક્ટને દેશના કુદરતી વારસાને નુકસાન પહોંચાડતું એક મોટું કૌભાંડ ગણાવ્યું છે. રાહુલ ગાંધીએ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી કે, વિકાસના છદ્મવેશે ૧૬૦ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા સદીઓ જૂના અમૂલ્ય જંગલોને કાપી નાખવામાં આવશે, જે પર્યાવરણ માટે ક્યારેય ન ભરી શકાય તેવું નુકસાન સાબિત થશે.

    પોતાના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ સ્થાનિક નિકોબારી સમુદાય અને આદિવાસી નેતાઓ સાથે સઘન સંવાદ સાધ્યો હતો. આદિવાસીઓએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, સરકાર તેમની લાગણીઓ અને સંસ્કૃતિને ધ્યાને લીધા વગર જ આ પ્રોજેક્ટ પર આગળ વધી રહી છે, જેનાથી તેમને વિસ્થાપિત થવાનો અને તેમની રોજગારી છીનવાઈ જવાનો ભય છે. રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર સરકાર સ્થાનિકોના હિતોને બદલે માત્ર પોતાના પસંદગીના મોટા ઉદ્યોગપતિઓને જ ફાયદો કરાવવા માટે આટલા મોટા પાયે પ્રકૃતિનું નિકંદન કાઢી રહી છે.

    બીજી તરફ, કેન્દ્ર સરકાર આ ₹81,000 કરોડના માતબર પ્રોજેક્ટના અનેક ફાયદાઓ ગણાવી રહી છે. સરકારના વિઝન મુજબ, ગ્રેટ નિકોબારમાં એક અત્યાધુનિક ઇન્ટરનેશનલ કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ, ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને પાવર પ્લાન્ટ બનાવવાની યોજના છે. સરકારનો તર્ક છે કે આ પ્રોજેક્ટથી હિંદ મહાસાગરમાં ભારતની દરિયાઈ તાકાત અને સુરક્ષા વ્યવસ્થા અનેકગણી મજબૂત બનશે, સાથે જ દક્ષિણ-પૂર્વ એશિયાના વેપારી માર્ગો પર ભારતનું વર્ચસ્વ વધશે.

    રાહુલ ગાંધીની આ મુલાકાત રાજકીય રીતે પણ મહત્વની રહી હતી. તેમણે ઇન્દિરા પોઇન્ટ ખાતે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પીને એવો સંદેશ આપ્યો હતો કે કોંગ્રેસ હંમેશા છેવાડાના માનવી અને દેશની કુદરતી સંપત્તિના રક્ષણ માટે ઉભી રહી છે. રાહુલ ગાંધીના મતે, પ્રકૃતિ અને આદિવાસીઓના ભોગે કરવામાં આવતો વિકાસ ખરેખર દેશ માટે વિનાશ નોતરનારી બાબત છે. કોંગ્રેસે માંગ કરી છે કે આ પ્રોજેક્ટની પર્યાવરણીય અને સામાજિક અસરોનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે.

    હાલમાં ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ મુદ્દે દેશમાં બે પક્ષો આમને-સામને છે. એક તરફ રાષ્ટ્રીય સુરક્ષા, ભૌગોલિક વ્યૂહરચના અને આર્થિક પ્રગતિની દલીલ છે, તો બીજી તરફ ગ્લોબલ વોર્મિંગના સમયમાં જંગલોનું રક્ષણ અને લુપ્ત થતી આદિવાસી સંસ્કૃતિને બચાવવાનો મોટો પડકાર છે. રાહુલ ગાંધીની આ મુલાકાત બાદ હવે સંસદથી લઈને રસ્તા સુધી આ પ્રોજેક્ટના વિરોધના સૂર વધુ તેજ બને તેવી પૂરી શક્યતા છે.