ખેડૂતોનું અલ્ટીમેટમ; ચાર ગણું વળતર નહીં મળે તો થાંભલા ઉખેડી નાખીશું
રાજસ્થાન મોડેલની માંગ: આંદોલન પાર્ટ-3નું રણશિંગુ ફૂંકાયું
12 જિલ્લાના ખેડૂતો સરકાર સામે લડાયક મૂડમાં
સીટી ન્યૂઝ@મોરબી
મોરબીના જેતપર ગામેથી આંદોલન પાર્ટ ૩ માટેનું રણશિંગુ ફૂંકવામાં આવ્યું છે જેના ભાગરૂપે સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લામાંથી ખેડૂત આગેવાનો અને સરપંચોને બુધવારે રેટ બોલાવવામાં આવ્યા હતા અને તેઓની સાથે આંદોલન પાર્ટ ૩ માટેની ચર્ચા કરવામાં આવી હતી અને ખેડૂતોના ખેતરમાં ઊભા કરવામાં આવતા વીજ થાંભલા સામે જો પૂરતું વળતર આપવામાં ન આવે તો થાંભલાને ઉખેડી નાખવાની ચીમકી ખેડૂતો ઉચ્ચારી રહ્યા છે. દરમિયાન ગુરુવારે રાત્રે જે ૧૨ જિલ્લાના આગેવાનો સાથે બેઠક કરવામાં આવી હતી તેમાં સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાવ-થરાદ, મહેસાણા, ગાંધીનગર અને નર્મદા જિલ્લાનો સમાવેશ થતો હતો. આ બેઠકમાં આવેલા ખેડૂતોએ સરકારને ખુલ્લી ચેતવણી આપતા કહ્યું હતું કે જો ખેડૂતોને તેમની જમીનમાં નાખવામાં આવતા વીજપોલ સામે પૂરતું વળતર નહીં આપવામાં આવે તો હાલમાં ખેડૂતો સરકારને હટાવવા માટે એકત્રિત થયા નથી પરંતુ મતદાન કરતા પણ ખેડૂતો અવકાશ નહીં અને આગામી સમયમાં આંદોલન પાર્ટ ૩ શરૂ થશે તે પૂરા આક્રોશ સાથે હશે અને તેના માટેની તમામ જવાબદારીઓ સરકારની રહેશે. તાજેતરમાં સરકાર દ્વારા વીજ કંપનીના વીજ પોલ અને કોરિડોર માટે વળતરનો જે નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે તેને ૧૨ જિલ્લામાંથી આવેલા ખેડૂતોએ લોલીપોપ સમાન ગણાવ્યો છે અને જે રીતે રાજસ્થાનમાં સરકાર ચાર ગણું વળતર ચૂકવે છે તેવી જ રીતે ગુજરાતમાં ખેડૂતોને પણ ચાર ગણું વળતર જોઈએ અને તે નહીં મળે તો ખેડૂતોના ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ તેવી ચેતવણી આપવામાં આવી છે. આમ છેલ્લા બે દિવસમાં ગુજરાતના ૨૪ જેટલા જિલ્લામાંથી ખેડૂત આગેવાનો જેતપર ઉપવાસી છાવણી ખાતે આવ્યા હતા અને તેઓએ પોતાના સૂચન આપ્યા હતા. હવે આગામી દિવસોમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયત લેવલે ખેડૂતોની સમિતિઓ બનાવવામાં આવશે અને ત્યાર બાદ આયોજન પૂર્વક વળતર મેળવવા આંદોલન પાર્ટ ૩ શરૂ કરવામાં આવશે તેવી માહિતી આંદોલન સમિતિના સભ્યે આપી હતી.