Loading Please Wait !!!
ઉતાવળમાં ફેસવોશ કરવાનું ટાળો, સ્કિનકૅર બની શકે છે માઇન્ડફુલ મેડિટેશન

  • આજની દોડધામ ભરેલી જિંદગીમાં સેલ્ફ-કેર થકી માનસિક તણાવને જડમૂળથી દૂર કરો
  • સવારથી રાત સુધીની રૂટીન પ્રક્રિયાને પૂરી જાગૃતતા સાથે કરવાથી મળશે અદભુત માનસિક શાંતિ
  • મૉઇશ્ચરાઇઝર લગાવવાની યાંત્રિક પ્રક્રિયામાં એકાગ્રતા લાવવાથી સ્ટ્રેસ લેવલમાં થશે મોટો ઘટાડો

સિટી ન્યુઝ @ મુંબઈ

આજની અત્યંત દોડધામ અને તણાવથી ભરેલી બિઝી લાઇફસ્ટાઇલમાં સ્કિનકૅરનો અર્થ હવે માત્ર ચહેરાની સુંદરતા જાળવવા પૂરતો સીમિત રહ્યો નથી. આધુનિક સમયમાં તે સેલ્ફ-કૅર અને આંતરિક માનસિક શાંતિ મેળવવાનો 1 અત્યંત અસરકારક માર્ગ બનીને ઊભરી રહ્યો છે. નિષ્ણાતો માને છે કે દિવસભરના થાક અને સ્ટ્રેસને દૂર કરવા માટે તમારું રોજિંદું સ્કિનકૅર રૂટીન 1 ઉત્તમ અને સસ્તી થેરાપી સાબિત થઈ શકે છે.

સામાન્ય રીતે લોકો સવારે ઉઠીને નોકરી પર જવાની ઉતાવળમાં અને રાત્રે સૂતા પહેલા થાકના કારણે ફટાફટ ફેસવૉશ કરીને કે મૉઇશ્ચરાઇઝર લગાવીને પથારીમાં પડી જતા હોય છે. જોકે, યાંત્રિક બની ગયેલી આ પ્રક્રિયાને હવે ધીમી પાડવાની તાતી જરૂર છે. સવારથી લઈને રાત સુધી સ્કિનકૅર પાછળ ગાળવામાં આવતી 10 થી 15 મિનિટના સમયને જો ઉતાવળ વિના પૂરેપૂરી જાગૃતતા અને એકાગ્રતા સાથે માણવામાં આવે, તો તે 1 પ્રકારનું માઇન્ડફુલ મેડિટેશન બની જાય છે.

આ માટે જ્યારે તમે ચહેરા પર પ્રોડક્ટ લગાવો ત્યારે તમારી આંગળીઓના સ્પર્શ, ક્રીમની હળવી સુગંધ અને પાણીની ઠંડક પર તમારું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આમ કરવાથી તમારું મન ભવિષ્યની ચિંતાઓ કે ભૂતકાળના વિચારોમાંથી મુક્ત થઈને વર્તમાન ક્ષણમાં જીવતા શીખે છે. આ નાનકડો ફેરફાર માત્ર તમારી ત્વચાને જ સ્વસ્થ અને ચમકદાર નથી બનાવતો, પરંતુ તમારા માનસિક સ્વાસ્થ્યને પણ નોંધપાત્ર રીતે સુધારે છે.

વર્તમાનમાં જીવવાની સુંદર કળા

જ્યારે આપણે કોઈ કામ યાંત્રિક રીતે કરીએ છીએ ત્યારે આપણું મન સતત વિચારોમાં અટવાયેલું રહે છે. પરંતુ પાણી અને ક્રીમના સ્પર્શ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી મગજ એકદમ શાંત થાય છે. આ પ્રક્રિયા શરીરમાં કોર્ટિસોલ એટલે કે સ્ટ્રેસ હોર્મોનનું સ્તર ઘટાડે છે અને વ્યક્તિને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે. પોતાની જાત માટે કાઢેલો આ થોડો સમય મનને દિવસભર માટે રિચાર્જ કરી દે છે.