હોર્મુઝમાં તણાવ : અમેરિકાએ ઈરાનની 7 બોટ્સ ડૂબાડી
- ટ્રમ્પે ઈરાનને સંપૂર્ણ પણ ખતમ કરવાની ધમકી આપી
UAEમાં 3 ભારતીયો ઘાયલ થવા પર ભારત લાલઘુમ
સિટી ન્યૂઝ@તેહરાન : પશ્ચિમ એશિયામાં 18 દિવસના કામચલાઉ યુદ્ધવિરામ બાદ સ્થિતિ ફરી વિસ્ફોટક બની છે. હોર્મુઝની ખાડીમાં અમેરિકા અને ઈરાન સામસામે આવી ગયા છે. ઈરાનની મીડિયાએ સૈન્ય સૂત્રોના હવાલેથી દાવો કર્યો છે કે અમેરિકી સેનાએ માલસામાન લઈ જતી બે નાગરિક નૌકાઓને નિશાન બનાવી છે, જેમાં 5 નાગરિકોના મોત થયા છે. જોકે, અમેરિકાએ આ દાવા પર મૌન સેવ્યું છે.
યુનાઈટેડ આરબ અમીરાતે સત્તાવાર રીતે જણાવ્યું છે કે ઈરાનના ડ્રોને ફુજૈરાહ સ્થિત તેલ સુવિધા કેન્દ્રને નિશાન બનાવ્યું છે, જેના કારણે ભયાનક આગ લાગી હતી. આ કેન્દ્ર હોર્મુઝને બાયપાસ કરતું મહત્વનું પાઈપલાઈન હબ છે. બીજી તરફ, ઓમાનમાં પણ રહેણાંક ઈમારત પર હુમલાના સમાચાર છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે બહેરીને દેશમાં 'નેશનલ ઈમરજન્સી' જાહેર કરી દીધી છે.
UAEના ફુજૈરાહમાં ઓઇલ પોર્ટ પર થયેલા હુમલાને લઈને ભારતે નારાજગી વ્યક્ત કરી છે. સરકારે કહ્યું કે ત્રણ ભારતીયોનું ઘાયલ થવું ખોટું છે અને તેને સ્વીકારી શકાય નહીં.
ભારતે તમામ પક્ષોને તાત્કાલિક હિંસા બંધ કરવા અને સામાન્ય લોકોને નિશાન ન બનાવવા જણાવ્યું છે. ભારતે કહ્યું કે પરિસ્થિતિને સંભાળવાનો સાચો રસ્તો વાતચીત અને રાજદ્વારી છે, જેથી પશ્ચિમ એશિયામાં શાંતિ અને સ્થિરતા જળવાઈ રહે. ભારતે એમ પણ કહ્યું કે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર અવરોધ વિના ચાલુ રહેવી જોઈએ.
આ પહેલા UAEએ દાવો કર્યો હતો કે હુમલો ઈરાન તરફથી થયો હતો. તેઓએ 12 બેલિસ્ટિક મિસાઈલ, 3 ક્રુઝ મિસાઈલ અને 4 ડ્રોનને રોકવામાં સફળતા મેળવી. જોકે ઈરાને UAE ના આ આરોપ પર કોઈ જવાબ આપ્યો નથી. PM મોદીએ પણ આ ઘટનાને લઈને પોસ્ટ કરી અને કહ્યું કે સામાન્ય લોકો અને જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવું સ્વીકાર્ય નથી.