Loading Please Wait !!!
કેતન અગ્રવાલ હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો : સિયા-ચેતને ચાર મહિના પહેલા જ કર્યા ગુપ્ત લગ્ન !

 

 સિટી ન્યૂઝ@ઉત્તરાખંડ

કેતન અગ્રવાલ હત્યા કેસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. પોલીસને જાણવા મળ્યું છે કે સિયા ગોયલ અને ચેતન ચૌધરીએ ચાર મહિના પહેલા ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. પોલીસે તેમના હાથમાં આવેલા વોટ્સએપ ચેટના આધારે આ દાવો કર્યો છે. ૧૮ જૂનના રોજ લોહગઢથી ધક્કો મારીને કેતન અગ્રવાલની હત્યા કરવામાં આવી હતી. કેતનની થનારી પત્ની સિયા ગોયલ અને તેના પ્રેમી ચેતન ચૌધરી બંનેની પોલીસે ધરપકડ કરી છે.

પોલીસ સિયા ગોયલને તેના ઘરે લઈ ગઈ હતી અને બીજો મોબાઈલ ફોન જપ્ત કર્યો હતો. મોબાઈલ ફોનમાં ચેટ, કોલ રેકોર્ડ, લોકેશન અને ઇન્ટરનેટ સર્ચ હિસ્ટ્રીના આધારે, પોલીસને ચોંકાવનારી માહિતી મળી છે. પોલીસે બંનેની ડિજિટલ કુંડળી પણ શોધી કાઢી છે. તેમાંથી પોલીસને કેટલાક મહત્વપૂર્ણ રેકોર્ડ્સ મળ્યા છે. પોલીસનો અંદાજ છે કે સિયા ગોયલ અને ચેતન ચૌધરીએ ચાર મહિના પહેલા જ ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. ૧૯ ફેબ્રુઆરીના રોજ સિયા અને કેતનની સગાઈ ખૂબ જ ધામધૂમથી થઈ હતી.

દાવો કરવામાં આવી રહ્યો છે કે સિયા-ચેતનના આ લગ્ન પરિવારથી છુપાવીને કરવામાં આવ્યા હતા. જોકે કેટલીક ઘટનાઓને જોતા પરિવારના કેટલાક સભ્યોને તેની જાણ હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. સિયા અને ચેતન મિત્રો બન્યા અને પછીથી પ્રેમમાં પડ્યા. બંને રાજસ્થાન ફરવા પણ ગયા હતા. સૂત્રો અનુસાર બંને ઉદયપુર અને જોધપુર ફરવા ગયા હતા. તેમના મિત્રોએ બંનેને સાથે જોયા હતા. બંનેએ તેમના મિત્રોને લગ્ન કરવા અને રાજસ્થાનમાં સ્થાયી થવા વિશે પણ કહ્યું હતું.

ચેતન સિયાને મારવાડી મહિલાઓના પોશાક અને રાજસ્થાની સંસ્કૃતિ વિશે માહિતી આપી રહ્યો હતો. તે વીડિયો અને રીલ્સ બતાવી રહ્યો હતો. લગ્ન પછી, બંને પુણે છોડીને ઉદયપુર અથવા જોધપુરમાં સ્થાયી થવા માંગતા હતા. જો કે બંને હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. ફોરેન્સિક રિપોર્ટ આવ્યા પછી ઘણી બાબતો સામે આવશે અને પોલીસ તપાસ હજુ મજબૂત બનશે. સિયા અને કેતનના લગ્ન નવેમ્બર ૨૦૨૬માં થવાના હતા. નવેમ્બર ૨૦૨૬માં સિયા અને કેતનના લગ્ન થવાના હતા. સિયા સાથે સુખી જીવનના સપના જોનાર કેતનને ક્યારેય અંદાજ નહોતો કે તે જ તેની હત્યાની આરોપી બની જશે. પોલીસના જણાવ્યા મુજબ, ૧૮ જૂને ચેતન અને સિયાએ તેને લોહગઢ કિલ્લા પરથી ધક્કો મારી દીધો હતો.

  •  કેતનના મર્ડર માટે સિયાએ રાજા રઘુવંશી કેસ વાંચ્યો
  • મોબાઈલ સર્ચ હીસ્ટ્રીમાંથી ખુલ્યું સિક્રેટ

પુણેના લોહગઢમાં કેતન અગ્રવાલ હત્યાકાંડની તપાસમાં જાણવા મળ્યું છે કે મુખ્ય આરોપી સિયા ગોયલે ઘટના પહેલાં ઇન્ટરનેટ પર ઇન્દોરના રાજા રઘુવંશી હત્યાકાંડની માહિતી એકઠી કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, સિયાએ ઇન્ટરનેટ પર એ પણ સર્ચ કર્યું હતું કે શું પોલીસ કસ્ટડીમાં મહિલાઓ સાથે મારપીટ થાય છે. આ સંપૂર્ણ માહિતી સિયાના બંને મોબાઈલની સર્ચ હિસ્ટ્રીમાંથી મળી.

પોલીસ ૨ દિવસ પહેલાં સિયાને તેના ઘરે લઈ ગઈ હતી, જ્યાં તેના બેડરૂમમાંથી બીજો મોબાઈલ પણ જપ્ત કર્યો છે. ઘટનાના દિવસના કેટલાક પ્રત્યક્ષદર્શીઓ પણ મળ્યા છે, જેમના નિવેદનો તપાસને વધુ મજબૂત કરી રહ્યા છે. સિયા ગોયલના પિતાએ તે દાવાઓને નકારી કાઢ્યા છે કે તેણે મીડિયા તરફ કોઈ અશ્લીલ ઈશારો કર્યો હતો: તેમનું કહેવું છે કે વાયરલ વીડિયોનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો. તેમના મતે, કાનૂની ઔપચારિકતાઓ માટે પોલીસ જ્યારે સિયાને ઘરે લાવી રહી હતી, ત્યારે કારનો દરવાજો બંધ થવાથી તેની બે આંગળીઓ ઘાયલ થઈ ગઈ હતી અને તે ફક્ત પોતાનો ઘાયલ હાથ બતાવી રહી હતી. તેમણે એવો પણ દાવો કર્યો કે તે સમયે હાજર પોલીસકર્મીઓ દ્વારા આ ઈજાઓની પુષ્ટિ કરી શકાય છે.