પેટ્રોલ બચાવવા કવાયત શરૂ ાવર નહીં, હવે નેતાઓ સાદગીના રસ્તે!
=> મોદીની અપીલની દેશભરમાં અસર
=> જજ સાયકલ પર, મંત્રી ઈ-રીક્ષામાં VIP કલ્ચરને ઝટકો!
=> CM ભૂપેન્દ્ર પટેલે કાફલામાં કર્યો ધરખમ ઘટાડો
=> હર્ષ સંઘવી નહીં જાય અમેરિકા
=> રાજ્યપાલ કરશે બસ અને ટ્રેનમાં મુસાફરી
=> UPમાં કોર્પોરેટ ઓફિસોમાં અઠવાડિયામાં 2 દિવસ વર્ક ફ્રોમ હોમ
સિટી ન્યૂઝ@ગાંધીનગર :પીએમ મોદીની બચતની અપીલની અસર ચાર રાજ્યોમાં દેખાઈ રહી છે. દિલ્હીમાં મંત્રી આશિષ સૂદે કાર્યક્રમમાં જવા માટે પહેલા મેટ્રો, પછી ઈ-રિક્ષાની સવારી કરી. મધ્યપ્રદેશમાં જસ્ટિસ ડીડી બંસલ સાયકલ ચલાવીને હાઈકોર્ટ પહોંચ્યા. એટલું જ નહીં, સીએમ મોહન યાદવે પોતાના કાફલામાં ગાડીઓની સંખ્યા ઘટાડી દીધી છે.
અમરેલી જિલ્લાના રાજુલા ખાતે 22 કરોડના ખર્ચે નિર્મિત અત્યાધુનિક 108 બેડની હોસ્પિટલના ટ્રોમા સેન્ટરનું લોકાર્પણ કરવા પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 'વીઆઈપી કલ્ચર' ઘટાડવાની અપીલને અક્ષરશ સાર્થક કરી બતાવી છે. સામાન્ય રીતે 10થી વધુ વાહનોના લશ્કરી કાફલા સાથે ફરતા મુખ્યમંત્રીએ શિસ્તનું ઉદાહરણ પૂરું પાડતા માત્ર બે જ કાર સાથે રાજુલા પહોંચીને સૌને ચોંકાવી દીધા હતા.
બીજી તરફ ઉત્તર પ્રદેશમાં સાંસદ-ધારાસભ્યોને એક દિવસ બસ-મેટ્રોથી મુસાફરી કરવાનો આદેશ આપવામાં આવ્યો. જ્યારે રાજ્યમાં જેટલી પણ મોટી કોર્પોરેટ ઓફિસો છે ત્યાં અઠવાડિયામાં 2 દિવસ વર્ક ફ્રોમ હોમ રહેશે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં મંત્રી આશિષ સેલારે વિદેશ યાત્રા ટાળવાની જાહેરાત કરી. તેમણે સોમવારે કહ્યું કે તેઓ આ વર્ષે ફ્રાન્સમાં યોજાનાર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેશે નહીં.
ઊર્જા મંત્રી પ્રદ્યુમ્ન સિંહ તોમર ભોપાલના શિવાજી નગર સ્થિત પોતાના સરકારી આવાસથી ઈ-સ્કૂટી દ્વારા પંચાનન ભવન પહોંચ્યા. મધ્યપ્રદેશમાં હવે મંત્રીઓ અને વીઆઈપી કાફલાઓમાં ગાડીઓની સંખ્યા મર્યાદિત કરવામાં આવશે. આ સાથે સરકારી પ્રવાસો અને ભ્રમણ દરમિયાન રેલીઓ પર પણ પ્રતિબંધ રહેશે.
મુખ્યમંત્રી મોહન યાદવને Z+ કેટેગરીની સુરક્ષા છે. આ જ કારણે તેમના કાફલામાં અત્યાર સુધી કુલ 13 વાહનો સામેલ રહેતા હતા. નવા આદેશ બાદ ભોપાલમાં સ્થાનિક પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રીના કાફલામાં હવે ફક્ત 8 ગાડીઓ સામેલ થશે.
દેશમાં ઉર્જા સંકટને લઈને પીએમ મોદીની અપીલ બાદ યુપીમાં યોગી સરકારે મંગળવારે 7 મોટા નિર્ણયો લીધા છે. મુખ્યમંત્રી, મંત્રીઓ, ધારાસભ્યો અને અધિકારીઓનો કાફલો 50% ઘટશે. અઠવાડિયામાં એક દિવસ તેમને પબ્લિક ટ્રાન્સપોર્ટ કે બસ-મેટ્રોમાં જવું પડશે. તમામ સરકારી બેઠકો, સેમિનાર, કોન્ફરન્સ, વર્કશોપ વર્ચ્યુઅલ હશે. રાજ્ય સચિવાલયની પણ 50% બેઠકો વર્ચ્યુઅલ હશે. સીએમએ કહ્યું કે, જે કંપનીઓમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ છે, તેમને સપ્તાહમાં બે દિવસ વર્ક ફ્રોમ હોમ માટે રાજ્ય સ્તરે એડવાઇઝરી જારી કરવામાં આવે.