હવે પ્રિસ્ક્રિપ્શન વગર નહીં મળે કફ સિરપ...
સ્વાસ્થ્ય મંત્રાલયનો મોટો નિર્ણય
નવા નિયમો અનુસાર; માત્ર અધિકૃત મેડિકલ સ્ટોર પરથી જ મળશે કફ સિરપ
સીટી ન્યૂઝ@નવી દિલ્હી
જો તમે સામાન્ય ખાંસી અથવા શરદી માટે સીધા મેડિકલ સ્ટોર પરથી કફ સિરપ ખરીદતા હોય તો હવે તમારે નવા નિયમોનું પાલન કરવું પડશે. કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કફ સિરપ અને અન્ય ઔષધીય સિરપના વેચાણને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવા નિયમો મુજબ હવે ઘણા પ્રકારના કફ સિરપ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના ખરીદી શકાશે નહીં. સરકારે ઔષધિ નિયમ ૧૯૪૫ (Drugs Rules, ૧૯૪૫)માં સુધારો કરીને કેટલીક સિરપ દવાઓના ઓવર-ધ-કાઉન્ટર (OTC) વેચાણ પર નિયંત્રણ લાદ્યું છે. એટલે કે હવે દર્દીઓને લાયસન્સ ધરાવતા મેડિકલ સ્ટોર અથવા ફાર્મસીમાંથી કફ સિરપ ખરીદવા માટે રજિસ્ટર્ડ ડોક્ટરની પર્ચી રજૂ કરવી ફરજિયાત બનશે. સરકારનું માનવું છે કે આ પગલાથી દવાઓનો દુરુપયોગને રોકવામાં અને દર્દીઓની સુરક્ષા વધારવામાં મદદ મળશે.
અત્યાર સુધી દેશમાં ઘણા વિસ્તારોમાં લોકો સામાન્ય ખાંસી માટે સીધા જ મેડિકલ સ્ટોર પરથી કફ સિરપ ખરીદી શકતા હતા, ઘણી વખત આવા સિરપ ડોક્ટરની સલાહ વિના પણ સરળતાથી મળી જતા હતા. પરંતુ હવે નવા નિયમો અમલમાં આવ્યા બાદ આ સ્થિતિ બદલાશે. હવે કફ સિરપ સહિત કેટલીક ઔષધીય સિરપ ખરીદવા માટે ડોક્ટર દ્વારા આપવામાં આવેલું માન્ય પ્રિસ્ક્રિપ્શન રજૂ કરવું ફરજિયાત રહેશે. પ્રિસ્ક્રિપ્શન વગર દવા વેચનાર મેડિકલ સ્ટોર સામે પણ કાર્યવાહી થઈ શકે છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલી સૂચના મુજબ ઔષધિ નિયમ ૧૯૪૫ની અનુસૂચિ 'કે' (Schedule K)માં ફેરફાર કરવામાં આવ્યો છે. આ સુધારા હેઠળ 'સિરપ' શબ્દને યાદીમાંથી દૂર કરવામાં આવ્યો છે. અગાઉ અનુસૂચિ 'કે' હેઠળ કેટલીક છૂટછાટો ઉપલબ્ધ હતી, જેના કારણે નાના ગામડાઓ અને દૂરના વિસ્તારોમાં પણ ચોક્કસ પરિસ્થિતિઓમાં કફ સિરપનું વેચાણ સરળતાથી થઈ શકતું હતું, હવે આ છૂટછાટો સમાપ્ત કરવામાં આવી છે.
- સરકારે આ નિર્ણય કેમ લીધો ?
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ કફ સિરપના વધતા દુરુપયોગ અને જાહેર આરોગ્યને પડતા જોખમોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં દેશના વિવિધ રાજ્યોમાંથી કફ સિરપના ગેરઉપયોગ અને તેની ગુણવત્તા સંબંધિત ગંભીર કિસ્સાઓ સામે આવ્યા હતા. કેટલાક કિસ્સાઓમાં કફ સિરપના સેવન બાદ લોકોના મૃત્યુ થયાની ઘટનાઓ પણ ચર્ચામાં આવી હતી, આ ઘટનાઓ બાદ દવાઓના વેચાણ અને વિતરણ વ્યવસ્થાને વધુ કડક બનાવવાની માંગ ઉઠી હતી.
- ગામડાઓમાં પણ લાયસન્સ વગર વેચાણ નહીં
નવા નિયમોનો એક મહત્વપૂર્ણ ભાગ એ છે કે હવે ૧,૦૦૦થી ઓછી વસ્તી ધરાવતા નાના ગામડાઓમાં પણ લાયસન્સ વગર કફ સિરપનું વેચાણ કરી શકાશે નહીં. અગાઉ કેટલાક વિસ્તારોમાં મળતી છૂટછાટોને હવે દૂર કરવામાં આવી છે. પરિણામે દેશભરમાં કફ સિરપના વેચાણ માટે એકસમાન નિયમો લાગુ થશે.
- અધિકૃત મેડિકલ સ્ટોર પરથી જ મળશે કફ સિરપ
નવા નિયમો અનુસાર હવે કફ સિરપનું વેચાણ અને વિતરણ માત્ર લાયસન્સ ધરાવતા મેડિકલ સ્ટોર અથવા ફાર્મસી દ્વારા જ થઈ શકશે. આ સમગ્ર પ્રક્રિયા ઔષધિ અને પ્રસાધન સામગ્રી અધિનિયમ ૧૯૪૦ તથા સંબંધિત નિયમો હેઠળ નિયંત્રિત કરવામાં આવશે. સરકારે દવા ઉત્પાદકો, વિતરકો અને ફાર્માસિસ્ટોને તમામ નિયમોનું કડક પાલન કરવાની સૂચના પણ આપી છે.
- દવાઓના દુરુપયોગ સામે મોટું પગલું
વિશેષજ્ઞોનું માનવું છે કે કફ સિરપના કેટલાક પ્રકારોનો દુરુપયોગ થતો હોવાના અહેવાલો લાંબા સમયથી સામે આવી રહ્યા હતા. કેટલીક દવાઓનો ઉપયોગ તબીબી હેતુ સિવાય અન્ય રીતે થતો હોવાની ચિંતાઓ પણ વ્યક્ત કરવામાં આવી હતી. આ નવા નિયમો દ્વારા સરકાર દવાઓના વેચાણ પર વધુ અસરકારક દેખરેખ રાખવા માંગે છે જેથી દર્દીઓને યોગ્ય સારવાર મળે અને દવાઓનો ગેરકાયદેસર ઉપયોગ અટકાવી શકાય.