જૈન અગ્રણી પ્રમોદભાઈ કોઠારીની પ્રાર્થના સભામાં ઉમટ્યો જનસાગર
» કેવડાવાડી ખાતે યોજાયેલા પ્રમોદભાઈના બેસણામાં તમામ વર્ગના લોકોએ આપી શ્રદ્ધાંજલિ; મિલનભાઈના ‘સંબંધોની મૂડી’નો સાક્ષી બન્યો
» ‘સંબંધોના સારથી’ મિલનભાઈ કોઠારીની પડખે આખું રાજકોટ ઉભું રહ્યું; હોલમાં ઉભા રહેવાની પણ જગ્યા ન રહી એટલી માનવમેદની ઉમટી
સિટી ન્યૂઝ@રાજકોટ
મૂળ નવાગામના વતની અને રાજકોટમાં સ્થાયી થયેલા જૈન સમાજના અગ્રણી પ્રમોદભાઈ રામજીભાઈ કોઠારીનું ૮૩ વર્ષની ઉંમરે દુખદ અવસાન થયું હતું. તેઓ ‘જૈન વિઝ્રન’ સંસ્થા થકી સામાજિક ક્ષેત્રે જાણીતા બનેલા મિલનભાઈ કોઠારીના પૂજનીય પિતા હતા. પ્રમોદભાઈના નિધનથી પરિવારની સાથે સાથે સમગ્ર જૈન સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી હતી. સદગતના આત્માની શાંતિ અર્થે તેમના નિવાસસ્થાન, રવિકિરણ એપાર્ટમેન્ટ, કેવડાવાડી મેઈન રોડ ખાતે એક બેસણાનું (પ્રાર્થના સભાનું)
આયોજન કરવામાં આવ્યું હતું. આ બેસણામાં રાજકોટ શહેરના દરેક વર્ગના અને દરેક સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે એટલી વિશાળ માનવમેદની
ઉમટી પડી હતી કે આખા હોલમાં ક્યાંય બેસવાની કે ઉભા રહેવાની પણ જગ્યા બચી ન હતી. આવનાર દરેક વ્યક્તિના ચહેરા પર જાણે પોતાનું જ કોઈ અંગત સ્વજન ગુમાવ્યું હોય તેવી લાગણી
છલકાતી હતી. પ્રાર્થના સભામાં જોવા મળેલો આ જનસાગર ખરા અર્થમાં મિલનભાઈ કોઠારીએ પોતાના જીવનમાં કમાયેલા ‘સંબંધોના પોટલાં’ની સાબિતી આપતો હતો. વ્યક્તિ પોતાના જીવનમાં બીજી ભૌતિક સંપત્તિ ભલે ગમે તેટલી કમાય, પરંતુ દુખની ઘડીમાં જ્યારે આટલા બધા લોકો પડખે ઉભા રહે, ત્યારે તે જ તેની સાચી મૂડી બની જાય છે. લોકોના આટલા વ્યાપક પ્રેમ, સહાનુભૂતિ અને હૂંફને જોતા મિલનભાઈ કોઠારીને ચોક્કસપણે ‘સંબંધોના સારથી’ કહી શકાય. ઉપસ્થિત સર્વે મહાનુભાવો અને સ્નેહીજનોએ ભીની આંખે સ્વર્ગસ્થ પ્રમોદભાઈને અંતિમ વિદાય આપી હતી.