અમિત શાહ 27થી 29મે ત્રણ દિ’ ગુજરાત પ્રવાસે
સિટી ન્યૂઝ@અમદાવાદ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ૨૭, ૨૮ અને ૨૯મે દરમિયાન તેઓ રાજ્યના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે તેમજ વિકાસ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓની સમીક્ષા કરશે. ગૃહમંત્રીના પ્રવાસને લઈને રાજ્યના રાજકીય અને વહીવટી વર્તુળોમાં ભારે ચહલપહલ જોવા મળી રહી છે. ૨૮મેના રોજ અમદાવાદ ખાતે ગૃહમંત્રી શહેરના વિકાસકાર્યોની સમીક્ષા કરશે. સર્કિટ હાઉસ ખાતે યોજાનારી બેઠકમાં વિવિધ પ્રોજેક્ટની પ્રગતિ અંગે ઉચ્ચ અધિકારીઓ પાસેથી માહિતી મેળવશે.
શહેરમાં ચાલી રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાફિક મેનેજમેન્ટ અને શહેરી સુવિધાઓના કામોની સમીક્ષા થવાની શક્યતા છે. સાથે જ તાજેતરમાં નિમાયેલા ભાજપના પદાધિકારીઓ સાથે પણ ગૃહમંત્રી બેઠક કરી શકે છે. આગામી રાજકીય અને સંગઠનાત્મક કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ૨૯ મેના રોજ ભુજ ખાતે ગૃહમંત્રી અમિત શાહનો કાર્યક્રમ યોજાયો છે. અહીં તેઓ સંવેદનશીલ ગણાતી હરામીનાળાની મુલાકાત લઈને સરહદી સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરશે.