ગ્રાન્ટેડ શાળાઓમાં 4000 ક્લાર્કની ભરતીને મંજૂરી
- ગુજરાત સરકારનો મોટો નિર્ણય
સિટી ન્યૂઝ@ગાંધીનગર
ગુજરાત સરકારે શિક્ષકોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યની નોન-ગવર્નમેન્ટ ગ્રાન્ટેડ (અનુદાનિત) માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે ગુજરાત સરકાર દ્વારા એક અત્યંત મહત્વનો અને રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગ્રાન્ટેડ શાળાઓમાં લાંબા સમયથી ખાલી પડેલી અંદાજિત ૪૦૦૦ જેટલી ક્લાર્કની જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા શરૂ કરવાનો સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણય મુજબ રાજ્યના શાળા સંચાલકો હવે પોતાના સ્તરે જ આ ક્લાર્કની જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરી શકશે. અગાઉ જે પદ્ધતિથી ભરતી કરવામાં આવતી હતી, તે જ જૂની અને પ્રચલિત પદ્ધતિ અનુસાર નિયમોનું પાલન કરીને આ ભરતી કરવાની
રહેશે.શાળાઓમાં બિન-શૈક્ષણિક કામગીરીનું ભારણ ઘટે અને વહીવટી કાર્ય ઝડપી બને તે માટે મુખ્યમંત્રીએ આ ભરતી પ્રક્રિયા શક્ય તેટલી ઝડપથી પૂર્ણ કરવા માટે સંબંધિત અધિકારીઓને આદેશ આપ્યો છે. સરકારના આ નિર્ણયથી સમગ્ર રાજ્યના શિક્ષણ જગત, શાળા સંચાલક મંડળ અને શિક્ષક સંઘોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.ક્લાર્કની જગ્યાઓ ખાલી હોવાના કારણે ઘન સમયથી શિક્ષકોને ભણાવવાની સાથે સાથે શાળાના વહીવટી અને
કલેરકલ કામો પણ કરવા પડતા હતા. નવી ભરતીથી શિક્ષકોને મોટી રાહત મળશે અને તેઓ પૂર્ણપણે શૈક્ષણિક કાર્ય પર ધ્યાન આપી શકશે. સંચાલકોને યોગ્ય કર્મચારીઓની ભરતી કરવાની સત્તા મળતાં શાળાઓનું દૈનિક વહીવટી કામકાજ વધુ સુચારુ અને ઝડપી બનશે. રાજ્યના હજારો યુવાનો માટે ગ્રાન્ટેડ શાળાઓમાં સરકારી નિયમાનુસાર ક્લાર્ક બનવાની સુવર્ણ તક ઉભી થશે.