હાથમાં બંધાતો રક્ષાસૂત્ર માત્ર દોરો નથી, જાણો તેનું સાચું ધાર્મિક મહત્વ
- ત્રિદેવ અને પંચતત્વોની કૃપા મેળવવા માટે 3 કે 5 ફેરાનું છે ખાસ મહત્વ
- 3 ફેરાથી ત્રિદેવ તો 5 ફેરાથી મળે છે પંચતત્વોનું અદભુત સંતુલન
- પુરુષો માટે જમણો અને પરિણીત મહિલાઓ માટે ડાબો હાથ ગણાય છે શુભ
સિટી ન્યુઝ @ ધર્મ ડેસ્ક
હિંદુ ધર્મમાં પૂજા, હવન કે કોઈપણ માંગલિક પ્રસંગો દરમિયાન હાથમાં રક્ષાસૂત્ર અથવા કલાવા બાંધવાની પ્રાચીન પરંપરા છે. આ પવિત્ર દોરાને માત્ર એક સામાન્ય દોરો ન માનતા તેને શુભતા, સુરક્ષા અને ભગવાનના આશીર્વાદનું પ્રતીક માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર હાથ પર રક્ષાસૂત્ર બાંધવાથી વ્યક્તિને નકારાત્મક શક્તિઓથી રક્ષણ મળે છે. પૂજા દરમિયાન લેવાયેલા સંકલ્પને મજબૂત રાખવા માટે આ દોરો બાંધવામાં આવે છે જે વ્યક્તિને આધ્યાત્મિક અને સકારાત્મક વિચારો સાથે સતત જોડી રાખે છે.
પૂજા સમયે પંડિતજી દ્વારા સામાન્ય રીતે રક્ષાસૂત્રને 3 કે 5 વાર લપેટીને બાંધવામાં આવે છે, જેનું એક વિશેષ ધાર્મિક મહત્વ છે. 3 ફેરા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એટલે કે ત્રિદેવનું પ્રતીક છે, સાથે જ તે મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાળીની કૃપા સાથે પણ જોડાયેલા છે. બીજી તરફ, 5 ફેરા એ પંચતત્વો એટલે કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશનું પ્રતિનિધિત્વ કરે છે. માનવ શરીર આ 5 તત્વોથી બનેલું હોવાથી, 5 ફેરા બાંધવાથી જીવનમાં આરોગ્ય, સંતુલન અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.
રક્ષાસૂત્ર બાંધતી વખતે કેટલાક મહત્વના નિયમોનું પાલન કરવું અત્યંત આવશ્યક છે. હિંદુ પરંપરા મુજબ પુરુષો અને અવિવાહિત યુવતીઓએ હંમેશા પોતાના જમણા હાથમાં રક્ષાસૂત્ર બાંધવું જોઈએ. જ્યારે વિવાહિત મહિલાઓ માટે ડાબા હાથમાં કલાવા બાંધવાનો નિયમ શાસ્ત્રોમાં જણાવાયો છે. રક્ષાસૂત્ર બાંધતી વખતે જે હાથમાં દોરો બંધાતો હોય તેની મુઠ્ઠી બંધ રાખવી અને બીજો હાથ માથા પર રાખવો શુભ ગણાય છે. મંત્રોચ્ચાર સાથે શ્રદ્ધાપૂર્વક બાંધવામાં આવેલો આ દોરો વ્યક્તિના જીવનમાં દૈવી આશીર્વાદ પ્રદાન કરે છે.
વિજ્ઞાન અને એક્યુપ્રેશર મુજબ કલાવાનું મહત્વ હાથના કાંડા પર રક્ષાસૂત્ર બાંધવા પાછળ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ વૈજ્ઞાનિક કારણ પણ છુપાયેલું છે. કાંડા પર દોરો બાંધવાથી એક્યુપ્રેશરના સિદ્ધાંત મુજબ શરીરની મુખ્ય નસો પર હળવું દબાણ આવે છે, જે હૃદય રોગ, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી બીમારીઓને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. કલાવો બાંધવાથી શરીરમાં વાત, પિત્ત અને કફનું સંતુલન જળવાઈ રહે છે.