રાજકોટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી AC બસ સેવા શરૂ થશે
સિટી ન્યૂઝ@રાજકોટ : રાજકોટ એસટી બસ પોર્ટ ખાતેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી એસી બસ શરૂ કરવા પ્લાનિંગ રજૂ કરાયું છે, ટૂંક સમયમાં મંજૂરી મળી જતા નવો બસ રૂટ શરૂ થશે. આ ઉપરાંત રાજકોટ-વડોદરા રૂટ ઉપર વધુ ત્રણ વોલ્વો બસ દોડાવવાનું આયોજન કરાયું છે. અગાઉ સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે વોલ્વો બસ સેવા શરૂ કરાઇ હતી પરંતુ તત્કાલિન સમયે પૂરતી માત્રામાં ટ્રાફિક નહીં મળતા સેવા બંધ કરી હતી. દરમિયાન હવે મુસાફર જનતામાંથી ફરી ડિમાન્ડ આવતા રાજકોટ એસટી બસ પોર્ટ ખાતેથી એસી કોચ શરૂ કરવા મંજૂરી માંગવામાં આવી છે. રાજકોટ વડોદરા વાયા આણંદ, ખેડા, નડિયાદ રૂટ ઉપર હાલ ત્રણ વોલ્વો સેવામાં છે જેમાં રાજકોટથી વડોદરાની ટિકિટ રૂ.૭૫૪ છે. રાજકોટ-વડોદરા રૂટ ઉપર ટ્રાફિક વધુ રહેતો હોય આગામી દિવસોમાં વધુ ત્રણ વોલ્વો મૂકવા માંગણી દરખાસ્ત રજૂ કરાઇ છે.