બેચરભા પરમારને શ્રદ્ધાંજલિ : રક્તદાન અને સંતવાણી સાથે સન્માન સમારોહ
- સાંસદ પરસોતમ રૂપાલા અને ધારાસભ્યો સહિતના અગ્રણીઓએ અર્પી શ્રદ્ધાંજલિ
- રક્તદાન કેમ્પમાં નવા ચૂંટાયેલા કોર્પોરેટરો અને પંચાયત સભ્યોનું સન્માન કરાયું
સિટી ન્યૂઝ @ રાજકોટ: શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજના અગ્રણી અને રામકૃપા ગ્રુપના ફાઉન્ડર સ્વ. બેચરભા પાંચાભા પરમારની 5 મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ગત 2 મે 2026 ના રોજ મહા રક્તદાન કેમ્પ અને સંતવાણી-રામધૂનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બેડીપરા રાજપૂત સમાજ વાડી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી સદગતને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ ઉપરાંત, જે ચોકનું નામકરણ સ્વ. બેચરભા પરમાર ચોક કરવામાં આવ્યું છે તેને 1 વર્ષ પૂર્ણ થતા સવારે ચોક ખાતે વિશેષ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
માનવ જીવન બચાવવાના ઉમદા હેતુથી યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં યુવાનોએ ભારે ઉત્સાહ દાખવ્યો હતો અને કુલ 112 બોટલ રક્ત એકત્રિત થયું હતું. આ પ્રસંગે સ્વામિનારાયણ સંતો, બ્રહ્માકુમારી રેખા દીદી, સાંસદ પરસોતમ રૂપાલા, શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, ધારાસભ્ય દર્શિતાબેન શાહ અને ભાનુબેન બાબરિયા સહિતના સામાજિક અને રાજકીય અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન તાજેતરમાં જ ચૂંટાયેલા નવા કોર્પોરેટરો તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યોનું સન્માન અને અભિવાદન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પ અને સંતવાણીમાં ઉપસ્થિત રહી સાથ-સહકાર આપનાર સર્વે મહેમાનો અને રક્તદાતાઓનો સ્વ. બેચરભા પરમાર પરિવાર (ચંદુભા, હરેશસિંહ, દર્શનસિંહ અને દક્ષરાજસિંહ પરમાર) દ્વારા હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો.
નવનિયુક્ત કોર્પોરેટરે રક્તદાન કરી આપી શ્રદ્ધાંજલિ
સમાજ શ્રેષ્ઠીની પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા આ સેવાકીય કાર્યક્રમમાં નવનિયુક્ત જનપ્રતિનિધિઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નવા ચૂંટાયેલા કોર્પોરેટર ધૈર્યભાઈ પારેખે માત્ર હાજરી ન આપતા, જાતે રક્તદાન કરીને સ્વ. બેચરભા પરમારને અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને યુવાનો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.