Loading Please Wait !!!
સોમનાથમાં લાખો ભક્તો ઉમટી પડતા રાત્રે 3 વાગ્યે મંદિરના દ્વાર ખોલાયા

  • » મંદિર પરિસરમાં નિકળેલ પાલખીયાત્રા સમયે હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો
  • » સંતો-મહંતો, મહાનુભાવો અને નેતાઓ સોમનાથ મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા

સિટી ન્યૂઝ@સોમનાથ

પવિત્ર શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરવાનું અનેરું મહાત્મ્ય રહેલું છે. ત્યારે શ્રાવણના બીજા સોમવારે દેવાધિદેવ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ઉમટી પડતા ભક્તોના અવિરત પ્રવાહને ધ્યાનમાં રાખીને સોમનાથ ટ્રસ્ટ દ્વારાયાત્રીઓની સુવિધા અર્થે ઉત્કૃષ્ટ અને સુચારુ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેને હેઠળ મોડીરાત્રિના ત્રણ વાગ્યાથી મંદિર પરિસરના દ્વાર યાત્રીઓ માટે ખોલવામાં આવ્યા હતા. જેથી યાત્રીઓ કાઉન્ટર ઉપર પોતાનો સામાન આરામથી જમા કરાવી શકે. અને દર્શન માટે સરળતાપૂર્વક લાઈનનું આયોજન થઈ શકે. શ્રાવણ મહિનાના બીજા સોમવારે સોમનાથ મહાદેવના દર્શન માટે શિવભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. દર્શનની તાલાવેલી એટલી હતી કે મધ્ય રાત્રિથી જ મંદિરની બહાર ભક્તોએ મોટી સંખ્યામાં એકત્ર થઈને શિવધૂન બોલાવવાનો પ્રારંભ કરી દીધો હતો.

ભક્તોના 'હર હર મહાદેવ' અને 'જય સોમનાથ'ના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.યાત્રીઓના સતત વધતા જતા પ્રવાહને પહોંચી વળવા અને દર્શન વ્યવસ્થા સરળ બનાવવા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા અગાઉથી જ આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે, રાત્રે ૩ વાગ્યે જ મંદિર પરિસરના દ્વાર યાત્રીઓ માટે ખોલી દેવામાં આવ્યા હતા, ભક્તો પોતાનો સામાન કાઉન્ટર પર જમા કરાવીને વહેલી સવારે ૪ વાગ્યે મંદિરમાં દર્શન માટે ખૂબ જ સરળતાથી પ્રવેશી શકે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેથી દર્શનાર્થીઓને લાઈનમાં ઊભા રહેવામાં કોઈ અગવડતા ન પડે. દૂર-દૂરથી આવતા યાત્રીઓને કોઈ પણ પ્રકારની હાલાકી ન ભોગવી પડે તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા રાત્રિના ૩ વાગ્યાથી જ તમામ સામાન કાઉન્ટર, પીવાના પાણીની પરબ સહિતની અન્ય જરૂરી વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી હતી.

ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ ટ્રસ્ટના અધિકારીઓ કર્મચારીઓ સુચારું વ્યવસ્થા સુનિશ્ચિત કરવા ઉપસ્થિત રહ્યા હતા. સોમનાથ ટ્રસ્ટની આ ભક્તલક્ષી અને સુવ્યવસ્થિત કામગીરીના પરિણામે હજારો શ્રદ્ધાળુઓએ શ્રાવણ માસના પવિત્ર દિવસે કોઈપણ જાતની અગવડતા વિના શાંતિપૂર્ણ રીતે મહાદેવના દિવ્ય દર્શનનો લ્હાવો લીધો હતો.