Loading Please Wait !!!
સગપણ માટે સુપર પ્લેટફોર્મ સાબિત થયું રઘુવંશી સમાજનો મહાપરિચય મેળો...

  • ફ્રી મેળો, ફૂલ રિસ્પોન્સ; 125 દિકરીઓ અને 225 દીકરાઓએ હાજરી આપી
  • 350 દિલ, એક મંચ; કિરીટ કેશરીયા, પંકજ જોબનપુત્રાની મહેનત રંગ લાવી રવિવારે હેમુગઢવી હોલમાં રઘુવંશી સમાજનો ગ્રાન્ડ શો ! યુવક યુવતીઓનો ઉમળકો

સીટી ન્યૂઝ@રાજકોટ

ગઈકાલે રવિવાર, તા. ૧૪ જૂનના રોજ રાજકોટના ટાગોર રોડ સ્થિત હેમુ ગઢવી હોલ ખાતે રઘુવંશી સમાજના યુવક-યુવતીઓ માટે ભવ્ય નિશુલ્ક રઘુવંશી મહાપરિચય મેળો અને સ્નેહમિલનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, સમાજના આગેવાનો કિરીટભાઈ કેશરીયા અને પંકજભાઈ જોબનપુત્રા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં બપોરે ૨ થી ૭ દરમિયાન ૧૨૫ દીકરીઓ અને ૨૨૫ દીકરાઓએ હાજરી આપી હતી.

આ મેળાઓ સમાજના પરિવારોને એક જ છત નીચે લાવી સગપણ માટે એક સારો અને વિશ્વસનીય પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. ખાસ વાત એ રહી કે સમગ્ર કાર્યક્રમ ઉમેદવારો માટે સંપૂર્ણપણે નિશુલ્ક રાખવામાં આવ્યો હતો તેમજ તમામ માટે ભોજનની ઉત્તમ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન સમાજમાં સ્વાસ્થ્ય જાગૃતિ લાવવાના ઉદ્દેશ સાથે “પહેલા થેલેસેમિયા ટેસ્ટ, પછી જ સગાઈ કે લગ્ન” જેવા મહત્વપૂર્ણ સંદેશનો પ્રચાર કરવામાં આવ્યો હતો, જેને ઉપસ્થિત લોકોએ વ્યાપક સમર્થન આપ્યું હતું.

મહલા ટીમ દ્વારા કાર્યક્રમનું સંચાલન ખૂબ જ સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું, જેમાં વિદિતાબેન કેશરીયા અને રીટાબેન જોબનપુત્રાએ ખાસ જહેમત ઉઠાવી હતી.

આ પ્રસંગે શહેરના અનેક અગ્રણીઓએ હાજરી આપી હતી. મુખ્ય મહેમાન તરીકે ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુ પોબારુ, ડૉ. નિશાંત ચોટાઈ, પૂર્વ પ્રમુખ કાશ્મીરાબેન નથવાણી તથા સમાજના આગેવાન અને સીટી ન્યૂઝ ના.માલિક નિતિનભાઈ નથવાણી ઉપસ્થિત રહ્યા હતા.

તે ઉપરાંત પરેશ પોપટ, ધવલ ખખ્ખર, નિલેશ કોટેચા, પ્રહલાદભાઈ પારેખ, શૈલેષભાઈ પાબારી, કિશોરભાઈ કોટક, પરેશભાઈ વિઠલાણી અને દિનેશભાઈ લાખાણી, સોનલબેન વસાણી, નિયતિબેન નથવાણી, રૂપાબેન મજીઠીયા સહિતના આગેવાનો હાજર રહી આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા અને યુવક-યુવતીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી.

આ મહાપરિચય મેળો સમાજમાં એકતા અને નવી પેઢી માટે સકારાત્મક દિશા દર્શાવતો સફળ પ્રયાસ સાબિત થયો છે.