રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત શહેરના વિવિધ પીઝા અને ફાસ્ટ ફૂડ પાર્લરોમાં અચાનક દરોડા પાડવામાં આવી રહ્યા છે. રામકૃષ્ણ નગર મેઈન રોડ પર આવેલ પાપા લુઈઝ પીઝા રેસ્ટોરન્ટમાં આરોગ્ય વિભાગે દરોડો પાડતાં ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. રેસ્ટોરન્ટના રસોડામાં અત્યંત ગંદકી અને અનહાઈજેનિક પરિસ્થિતિ જોવા મળી હતી. તપાસ દરમિયાન ફ્રીઝમાં મોટી
માત્રામાં નૂડલ્સ અને પાસ્તા વાસી હાલતમાં સંગ્રહિત હોવાનું બહાર આવ્યું. ઉપરાંત મેંદાના સ્ટોરેજમાં પણ ધનેડા જોવા મળતા ખોરાકની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. આ મામલે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ રેસ્ટોરન્ટમાંથી ખાધના નમૂનાઓ લેવામાં આવ્યા છે. સાથે જ સંચાલકોને નોટિસ ફટકારી દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે શહેરમાં આવા ડ્રાઈવ સતત ચાલુ રહેશે અને ભેળસેળ તથા ગંદકી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.