Loading Please Wait !!!
દલાઈ લામાના ઉત્તરાધિકારીના મામલાથી ભારત દૂર રહે : ચીન

=> આ અમારો આંતરિક મામલો છે, તિબેટ મુદ્દે બાહ્ય દખલગીરી સ્વીકાર્ય નથી

સિટી ન્યૂઝ@બીજિંગ

ચીને ભારતને દલાઈ લામાના ઉત્તરાધિકારના મુદ્દાથી દૂર રહેવાની સલાહ આપી છે. બીજિંગે કહ્યું કે દલાઈ લામાના પુનર્જન્મ અને ઉત્તરાધિકારી નક્કી કરવાની પ્રક્રિયા સંપૂર્ણપણે ચીનનો આંતરિક મામલો છે અને તેમાં કોઈ બાહ્ય હસ્તક્ષેપની મંજૂરી આપવામાં આવશે નહીં.

ભારતમાં ચીની દૂતાવાસના પ્રવક્તા ચુ જિંગે રવિવારે નિવેદન જારી કરીને કહ્યું કે દલાઈ લામાનો પુનર્જન્મ સદીઓ જૂના ધાર્મિક રીતિ-રિવાજો અને ઐતિહાસિક પરંપરાઓ હેઠળ થાય છે.

તેમણે કહ્યું કે આ પ્રક્રિયા માટે ચીનની કેન્દ્રીય સરકારની મંજૂરી જરૂરી હોય છે અને ૧૪મા દલાઈ લામાને પણ આ જ પ્રક્રિયા હેઠળ માન્યતા આપવામાં આવી હતી.

ચીની દૂતાવાસે ભારતને તિબેટ પરના તેના જૂના વલણની યાદ પણ અપાવી. નિવેદનમાં કહેવામાં આવ્યું કે ભારતે તિબેટીયન સ્વતંત્રતા સંબંધિત ગતિવિધિઓ માટે મંચ ઉપલબ્ધ કરાવવો જોઈએ નહીં. આ પ્રાદેશિક સ્થિરતા અને ભારત-ચીન સંબંધો માટે જરૂરી છે.

આ પહેલો પ્રસંગ નથી જ્યારે ચીને દલાઈ લામાના મુદ્દે ભારતને ચેતવણી આપી હોય. ગયા વર્ષે પણ બેઇજિંગે કહ્યું હતું કે દલાઈ લામાનો ઉત્તરાધિકાર ભારત-ચીન સંબંધોમાં કાંટા સમાન છે.

દલાઈ લામા પહેલા પણ કહી ચૂક્યા છે કે તેમના ઉત્તરાધિકારી નક્કી કરવામાં ચીનની કોઈ ભૂમિકા નહીં હોય. તિબેટીયન માન્યતા અનુસાર, કોઈ વરિષ્ઠ બૌદ્ધ ભિક્ષુના મૃત્યુ પછી તેની આત્મા પુનર્જન્મ લે છે. જોકે ચીન કહે છે કે દલાઈ લામાના ઉત્તરાધિકારીની પ્રક્રિયાને ચીની સરકારની મંજૂરી જરૂરી છે. દલાઈ લામા ૧૯૫૯થી ભારતમાં નિર્વાસનમાં રહી રહ્યા છે. તિબેટમાં ચીની શાસન વિરુદ્ધ નિષ્ફળ વિદ્રોહ પછી તેઓ ભારતમાં આવ્યા હતા. ભારતમાં લગભગ ૭૦ હજાર તિબેટીયન શરણાર્થીઓ અને નિર્વાસિત તિબેટીયન સરકાર પણ હાજર છે.