રાજભા ગઢવી બન્યા ગીરના માલધારી
સિટી ન્યૂઝ@અમરેલી
સિંહનગરી તરીકે પ્રસિદ્ધ અમરેલીના વન વિભાગથી એક મોટા અને નવાઈ પમાડે તેવા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં અમરેલી જિલ્લાના ધારી-ગીર પૂર્વ વિસ્તારમાં વન વિભાગના એક નિર્ણયને લઈને હાલ ચારેકોર ચર્ચા અને વિવાદ ઊભો થયો છે. જાણીતા લોકસાહિત્યકાર રાજભા ગઢવી અને તેમના પરિવારને ગીર વિસ્તારમાં ફરી વસવાટ અને પશુપાલન માટે મંજૂરી આપવામાં આવતા અનેક સવાલો ઊભા થયા છે. લીલીપાણી નેસ વિસ્તારમાં ઝૂંપડાં બાંધી રહેવા માટે આપવામાં આવેલી આ પરવાનગી બાદ વન વિભાગની નીતિ અને નિયમોની અમલવારી પર ચર્ચા તેજ બની છે.
આ અંગે જો આપણે શરૂઆતથી સમજીએ તો વર્ષ ૨૦૨૩માં રાજભા ગઢવીના પિતા અને તેમના કાકાએ ગીર વિસ્તારમાં ફરી વસવાટ કરવાની અરજી કરી હતી, જેને તે સમયના DCF દ્વારા નકારી દેવામાં આવી હતી. તે વખતે વન વિભાગે સ્પષ્ટ કર્યું હતું કે, ગીર અને અભયારણ્ય વિસ્તારમાં માનવ અને પશુઓની વધતી સંખ્યાને કારણે પર્યાવરણ અને વન્યજીવોને નુકસાન થવાની શક્યતા છે. સાથે જ બહાર મિલકત ધરાવતા લોકો માટે ફરી જંગલ વિસ્તારમાં પ્રવેશ આપવો નીતિ વિરુદ્ધ ગણાયો હતો. જોકે હવે અચાનક હાલના અધિકારીઓ દ્વારા લગભગ સમાન પ્રકારની અરજીને મંજૂરી અપાતા સમગ્ર મામલો વિવાદમાં આવી ગયો છે. આ તરફ ગીરના કડકડી અને લીલીપાણી નેસ વિસ્તારમાં ફરી વસવાટની મંજૂરી મળતા સ્થાનિક સ્તરે પણ આશ્ચર્ય વ્યક્ત થઈ રહ્યું છે.
વન વિભાગના કેટલાક કર્મચારીઓમાં પણ આ નિર્ણયને લઈને આંતરિક અસંતોષ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ સમગ્ર મામલે લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ પોતાનો પક્ષ રજૂ કરતાં જણાવ્યું કે, ગીરમાં રહેવું અને પશુપાલન કરવું તેમના પરિવારનો પરંપરાગત હક છે. તેમણે કહ્યું કે તેઓ કોઈ વૈભવી બાંધકામ કરવા માંગતા નથી, પરંતુ માત્ર પશુપાલન માટે પરત જવા ઇચ્છે છે. જોકે કલાકાર હોવાના કારણે તેમને ખાસ લાભ મળ્યો હોવાની ચર્ચાથી આ મામલો ગરમાયો છે.
વર્ષ 2023માં જે અરજી ફગાવી, તેને લીલી ઝંડી મળતા વન વિભાગની નીતિ સામે સવાલો