વિકાસશીલ ગુજરાતમાં 1.14 કરોડ લોકો ગરીબ!
વિકાસના દાવા વચ્ચે સરકારી અનાજના આંકડા ચોંકાવનારા
-
છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં 25 લાખથી વધુ જરૂરિયાતમંદ પરિવારોમાં 1.14 કરોડ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ આપવામાં આવ્યું
-
સરકારના જ આંકડા હવે સવાલ ઉઠાવે છે લોકોને લાંબા સમય સુધી મફત અનાજ આપવું એ અન્ન સુરક્ષા છે કે પછી એવી રોજગારી અને આવકનું નિર્માણ કરવામાં હજુ ખામી !
આ કલ્યાણકારી યોજના જરૂરિયાતમંદો માટે રાહતરૂપ છે તે વાત અલગ છે પરંતુ વિકાસશીલ અને રોજગારીની તકો વધતા રાજ્યમાં મફત અનાજ પર આધારિત લોકોની સંખ્યા સતત વધતી જાય તો તેની પાછળનું કારણ શું છે ?
સિટી ન્યૂઝ@ગાંધીનગર
ગુજરાતમાં રોજગારી, વિકાસ અને આર્થિક પ્રગતિના દાવાઓ વચ્ચે અન્ન સુરક્ષા યોજનાના આંકડા સરકાર સામે જ સવાલ ઊભો કરે છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં ૨૫ લાખથી વધુ જરૂરિયાતમંદ પરિવારોના ૧.૧૪ કરોડથી વધુ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ આપવામાં આવ્યું હોવાનું અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે જણાવ્યું છે.
સરકારના આંકડા પ્રમાણે જરૂરિયાતમંદ પરિવારો સુધી ઘઉં, ચોખા અને બરછટ અનાજ પહોંચાડવામાં આવ્યું છે. પરંતુ આ આંકડાઓનો બીજો અર્થ એ પણ થાય છે કે રાજ્યની મોટી વસ્તીનો હિસ્સો હજુ પણ પરિવારનું અન્ન પૂરું કરવા માટે સરકારી સહાય પર આધાર રાખે છે. ત્યારે સ્વાભાવિક સવાલ થાય છે કે રોજગારી અને વિકાસની વાતો વચ્ચે આટલી મોટી સંખ્યામાં પરિવારોને મફત અનાજની જરૂરિયાત કેમ ઊભી થઈ રહી છે?
સરકારના આંકડા મુજબ વર્ષ ૨૦૨૨-૨૩માં અન્ન સુરક્ષા યોજનાનો લાભ ૩.૦૬ લાખ પરિવારોના ૧૪.૪૮ લાખ લોકોને મળ્યો હતો. વર્ષ ૨૦૨૩-૨૪માં આ સંખ્યા વધીને ૫.૬૩ લાખ પરિવારો અને ૨૫.૪૩ લાખ લાભાર્થીઓ થઈ. વર્ષ ૨૦૨૪-૨૫માં ૭.૪૯ લાખ પરિવારોના ૩૪.૫૩ લાખ લોકો યોજનાના લાભાર્થી બન્યા, જ્યારે વર્ષ ૨૦૨૫-૨૬માં આ સંખ્યા વધીને ૯.૨૦ લાખ પરિવારો અને ૩૯.૬૫ લાખ લોકો થઈ છે.
એટલે, છેલ્લા કેટલાક વર્ષોમાં યોજનાના લાભાર્થી પરિવારોમાં નોંધપાત્ર વધારો થયો છે. આ વધારો ખરેખર જરૂરિયાતમંદોને વધુ સારી રીતે આવરી લેવાનો સંકેત છે કે પછી રાજ્યમાં આર્થિક રીતે નબળા પરિવારોની સંખ્યા વધી રહી હોવાનો સંકેત છે, તે ચર્ચાનો વિષય બન્યો છે.
છેલ્લા પાંચ વર્ષ દરમિયાન રાજ્યમાં લાખો મેટ્રિક ટન અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે. સરકારના જણાવ્યા પ્રમાણે મુખ્યત્વે ૧૩૬ લાખ મેટ્રિક ટન ઘઉં-ચોખા અને ૩ લાખ મેટ્રિક ટન બરછટ અનાજનું વિતરણ થયું છે. ૨૦૨૫-૨૬માં જ ૮.૭૬ લાખ મેટ્રિક ટન ઘઉં, ૧૦.૪૫ લાખ મેટ્રિક ટન ચોખા અને ૦.૮૮ લાખ મેટ્રિક ટન બરછટ અનાજનું વિતરણ કરાયું છે.
સરકારનું કહેવું છે કે અન્ન સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જરૂરિયાતમંદ પરિવારોને રાહત દરે અને વિનામૂલ્યે અનાજ આપવામાં આવે છે. આ કલ્યાણકારી યોજના જરૂરિયાતમંદો માટે રાહતરૂપ છે તે વાત અલગ છે, પરંતુ વિકાસશીલ અને રોજગારીની તકો વધતા ગુજરાતમાં મફત અનાજ પર આધારિત લોકોની સંખ્યા સતત વધતી જાય તો તેની પાછળનું કારણ શું છે?
સરકારના જ આંકડા હવે આ સવાલ ઉઠાવે છે, લોકોને લાંબા સમય સુધી મફત અનાજ આપવું એ અન્ન સુરક્ષા છે કે પછી એવી રોજગારી અને આવકનું નિર્માણ કરવામાં હજુ ખામી છે, જેના કારણે પરિવારો આત્મનિર્ભર બની શકે? વિકાસના દાવાઓ વચ્ચે સામે આવેલા આ આંકડા ગુજરાતના આર્થિક વિકાસ અને સામાન્ય પરિવારની વાસ્તવિક સ્થિતિ વચ્ચેના અંતર અંગે ભેદ સ્પષ્ટ કરી શકે છે.