રાજકોટની ઘંટેશ્વર અને પરાપીપળિયાની TP સ્કીમને રાજ્ય સરકારની મંજૂરી
=> નિર્ણયથી આ વિસ્તારના માર્ગો, જાહેર સુવિધાઓ, શહેરી વિકાસને વેગ મળશે
=> પ્રાથમિક ટાઉન પ્લાનિંગ સ્કીમ નં.36/3 મંજૂર: ફાઇનલ પ્લોટ વિસ્તાર, હેતુ અને નંબરિંગમાં ફેરફારો મંજૂર કરવામાં આવ્યા
=> કેટલાક પ્લોટોને સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પાર્કિંગ, જાહેર ઉપયોગી સુવિધાઓ માટે અનામત રાખવામાં આવ્યા
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે અમદાવાદ, રાજકોટ અને સુરતની અનેક ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમોને મંજૂરી આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. વિભાગ દ્વારા જાહેર કરાયેલી નોટિફિકેશન મુજબ અમદાવાદના પાલડી એક્સ્ટેન્શન અને આંબાવાડી વિસ્તારની TP સ્કીમોને અંતિમ મંજૂરી આપવામાં આવી છે. જ્યારે અમદાવાદની વિરોચનનગર-ખોરજ વિસ્તારને લગતી TP સ્કીમને નામંજૂર કરવામાં આવી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે મંજૂર કરાયેલી તમામ TP સ્કીમોના દસ્તાવેજો, નકશા અને પુનર્વિતરણ (Redistribution) સ્ટેટમેન્ટ જાહેર જનતા માટે નિરીક્ષણ અર્થે ખુલ્લા રાખવામાં આવશે. નાગરિકો કચેરીના કાર્યકારી દિવસો દરમિયાન સંબંધિત સત્તામંડળની કચેરીએ જઈને આ દસ્તાવેજો જોઈ શકશે.
રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (RUDA) દ્વારા રજૂ કરાયેલી પ્રાથમિક ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. ૩૬ / ૩ (ઘંટેશ્વર-પરાપીપળિયા) ને રાજ્ય સરકારે મંજૂરી આપી છે. સ્કીમમાં વિવિધ ફાઇનલ પ્લોટના વિસ્તાર, હેતુ અને નંબરિંગમાં ફેરફારો મંજૂર કરવામાં આવ્યા છે. કેટલાક પ્લોટોને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાર્કિંગ અને જાહેર ઉપયોગની સુવિધાઓ માટે અનામત રાખવામાં આવ્યા છે. સરકારના નિર્ણય બાદ આ વિસ્તારમાં માર્ગો, જાહેર સુવિધાઓ અને આયોજનબદ્ધ શહેરી વિકાસને વેગ મળશે. અમદાવાદના પાલડી એક્સ્ટેન્શન (ચોથી ફેરફારિત) TP સ્કીમને મંજૂરી આપતા કેટલાક ફેરફારો પણ સૂચવાયા છે. સ્કીમમાં અંતિમ પ્લોટોના હેતુ અને વિસ્તાર અંગે સુધારા કરવામાં આવ્યા છે. સરકારના આદેશ મુજબ સંબંધિત દસ્તાવેજો અને નકશાઓમાં પણ જરૂરી ફેરફારો કરવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદની આંબાવાડી TP સ્કીમમાં સામાજિક સુવિધાઓ માટે જમીન અનામત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરી વિસ્તારોમાં વધતી વસતિને ધ્યાનમાં રાખીને જાહેર ઉપયોગની સુવિધાઓ માટે જમીન ઉપલબ્ધ રહે તે માટે આ પગલું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. શહેરી વિકાસ વિભાગના આ નિર્ણય બાદ સંબંધિત વિસ્તારોમાં વિકાસની નવી તકો ઊભી થશે, જ્યારે વિરોચનનગર-ખોરજ TP સ્કીમ નામંજૂર થતાં તે વિસ્તાર અંગે નવી દરખાસ્ત અથવા સુધારેલી યોજના રજૂ કરવાની જરૂરિયાત ઊભી થઈ શકે છે. રાજકોટ અને સુરતની પણ કેટલીક TP સ્કીમોને મંજૂરી મળતા વિકાસકાર્યોને ગતિ મળશે. રસ્તા, જાહેર સુવિધાઓ, ખુલ્લી જગ્યાઓ અને આધુનિક શહેરી માળખાના વિકાસ માટે આ TP સ્કીમો મહત્વની સાબિત થશે.
સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (SUDA) ની પ્રાથમિક ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. ૪૭ (ભેંસાણ-ભાડા) અંગે રાજ્ય સરકારે શુદ્ધિ પત્ર જાહેર કરીને અગાઉની નોટિફિકેશનમાં સુધારા કર્યા છે.