દુબઈથી અમૃતસર આવતી એર ઈન્ડિયાના ક્રૂ મેમ્બર્સ ૩ મહિના માટે સસ્પેન્ડ
-
ગત ૨ ઓગષ્ટ ૨૦૨૬ના રોજ બનેલી ઘટના અંગે વિમાનન નિયમો હેઠળ લેવાયા પગલાં
-
સાઈકોએક્ટિવ પદાર્થોના સેવનની તપાસ માટે કરવામાં આવ્યા હતા ફરજિયાત ટેસ્ટ
-
રાહતની વાત એ રહી કે કોઈએ પણ નશીલા પદાર્થોનું સેવન કર્યું ન હતું
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
ગત ૨ ઓગષ્ટ ૨૦૨૬ના રોજ દુબઈથી અમૃતસર આવતી એર ઈન્ડિયાની ફ્લાઇટના ક્રૂ મેમ્બર્સ દ્વારા આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ બાદ થનારો ફરજિયાત બ્રેથ એનેલાઈઝર ટેસ્ટ સમય સીમામાં ન કરાવવા બદલ તેમને ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અલબત, તમામ ક્રૂ સભ્યોના ટેસ્ટના પરિણામો નેગેટીવ આવ્યા હતા તેમ છતાં પ્રક્રિયા સમયસર પૂરી ન કરવાના શિસ્તભંગ હેઠળ આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. વિમાનન નિયમો અનુસાર ફ્લાઇટથી ઉતર્યાના બે કલાકમાં ક્રૂ મેમ્બરે પોતાનું પોસ્ટ-ફ્લાઇટ ડિક્લેરેશન જમા કરાવવું ફરજિયાત હોય છે, જો કે આ મામલામાં ક્રૂ મેમ્બરે ૩૫ મિનિટ મોડું કર્યું હતું.
ડિક્લેરેશનમાં વિલંબ થતાં જ એરલાઈનના સખત સુરક્ષા પ્રોટોકોલ તરત જ લાગુ થઈ ગયા હતા. એરલાઈનના અનિવાર્ય નિયમો અંતર્ગત સાઈકોએક્ટિવ પદાર્થોના સેવનની તપાસ માટે ક્રૂના બધા જ સભ્યોના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર રાહતની વાત માત્ર એટલી રહી કે બધા સભ્યોના મેડિકલ ટેસ્ટ રિપોર્ટ નેગેટીવ આવ્યા છે, જેનાથી એ સ્પષ્ટ થાય છે કે કોઈ પણ સભ્ય દ્વારા નશીલા પદાર્થોનું સેવન કરવામાં આવ્યું નહોતું, પરંતુ માત્ર સમય મર્યાદાના ઉલ્લંઘનને કારણે આ સજા ભોગવવી પડી છે.
વિમાનન સુરક્ષા નિયમો
આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન ક્ષેત્રે સલામતી અને શિસ્તના નિયમોનું પાલન અત્યંત કડકાઈથી કરવામાં આવે છે, જેથી મુસાફરોની સુરક્ષા સાથે ક્યારેય કોઈ પણ પ્રકારની બાંધછોડ ન થાય.