સિંહોના મોત વચ્ચે ફોરેસ્ટના 12 વેટરનરી ડોક્ટરોના રાજીનામા
સિટી ન્યૂઝ@અમરેલી
ગુજરાત વન વિભાગના કરાર આધારિત ફરજ બજાવતા ૧૨ વેટરનરી ડોકટરોએ સામૂહિક લેખિત રાજીનામા ધરી દીધા છે. હેઠળ ગીર પૂર્વ, ગીર પશ્ચિમ, અને સક્કરબાગ ઝૂ સહિતના વિસ્તારોમાંથી રાજીનામાથી વન વિભાગમાં ભારે ખળભળાટ મચી ગયો છે. હાલમાં ગીરના સિંહોમાં કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ અને બેબેસિયા જેવા ગંભીર રોગોનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, ત્યારે જ આ વેટરનરી તબીબોએ રાજીનામા આપતા વન્યપ્રાણીઓની સારવાર અને સંભાળ સામે મોટો પડકાર ઉભો થયો છે. કરારની શરતો અનુસાર આ તમામ તબીબો એક મહિનાનો નોટિસ પિરિયડ પૂર્ણ કરીને આગામી ૧૫ જૂનથી સત્તાવાર રીતે ફરજમુક્ત થશે.
રાજીનામા પાછળનું મુખ્ય કારણ ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વન અને પર્યાવરણ વિભાગ માટે જાહેર કરાયેલી ૧૮ કાયમી વેટરનરી ઓફિસર (વર્ગ-૨)ની ભરતી સામેનો વિરોધ છે. તબીબોનો આક્ષેપ છે કે નવી ભરતી પ્રક્રિયામાં પશુપાલન વિભાગના નિયમો લાગુ કરવામાં આવ્યા છે, જેમાં વન્યપ્રાણીઓની સારવારનો વર્ષોનો અનુભવ ધરાવતા ઉમેદવારોને કોઈ પણ પ્રકારનું પ્રાધાન્ય કે વેઈટેજ આપવામાં આવ્યું નથી.
| રાજીનામા ધરી દેનાર વેટરનરી | |
| પશુચિકિત્સા અધિકારી | ફરજનું સ્થળ |
| ડો. વિરેન્દ્રગીરી અપારનાથી | અમરાપુર ગીર |
| ડો. જિતેન્દ્રકુમાર ભટોળ | પાલનપુર |
| ડો. અનિરુદ્ધસિંહ ઝાલા | સક્કરબાગ ઝૂ |
| ડો. દર્શિત જાવીયા | સક્કરબાગ ઝૂ |
| ડો. પિયુષ માળવી | જશાધાર |
| ડો. વિશાલ ચાવડા | સિમાર |
| ડો. કુશાંગ મુરબીયા | જામવાળા |
| ડો. વિવેક ચૌહાણ | સાસણ |
| ડો. વિજય ખુંટી | બરડા |
| ડો. સમીર પંડ્યા | કાંકચ |
| ડો. યશ બારૈયા | વેળાવદર |
| ડો. ધવલ સાવલિયા | વડાળ |