Loading Please Wait !!!
શાંતિ પાછળનું દુ:ખ : ઘટનાઓમાં ચિંતાજનક વધારો : જીવનથી હારનો ટ્રેન્ડ

  • ગુજરાત પર મોતનો સાયો
  • ગુજરાતમાં એક વર્ષમાં 8984 લોકોએ આપઘાત કર્યો
  • રાજકોટ આત્મહત્યાના કેસોમાં દેશમાં બીજા ક્રમે

સિટી ન્યૂઝ@ગાંધીનગર:  ગુજરાતમાં આત્મહત્યાના કેસોમાં સતત વધારો ચિંતાનો વિષય બની રહ્યો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના તાજેતરના અહેવાલ મુજબ વર્ષ ૨૦૨૪ દરમિયાન રાજ્યમાં કુલ ૮૯૮૪ લોકોએ વિવિધ કારણોસર આત્મહત્યા કરી હતી. આ આંકડો દર્શાવે છે કે રાજ્યમાં દરરોજ સરેરાશ ૨૪ થી ૨૫ લોકો જીવન ટૂંકાવી રહ્યા છે.

અહેવાલ મુજબ આત્મહત્યા કરનારામાં પુરુષોનું પ્રમાણ સૌથી વધુ જોવા મળ્યું છે. કુલ કેસોમાં લગભગ ૭૧ ટકા પુરુષો અને ૨૯ ટકા મહિલાઓનો સમાવેશ થાય છે. રાજ્યના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટા શહેરોમાંથી જ લગભગ ૩૦ ટકા કેસ નોંધાયા હતા.

વિશેષ કરીને રાજકોટ શહેર આત્મહત્યાના બનાવોમાં દેશના સૌથી વધુ અસરગ્રસ્ત શહેરોમાં બીજા ક્રમે હોવાનું સામે આવ્યું છે. સમૃદ્ધ ગણાતા ગુજરાતમાં આત્મહત્યાનું પ્રમાણ અનેક અન્ય રાજ્યો કરતાં વધુ હોવું પણ ચિંતાજનક માનવામાં આવી રહ્યું છે.

અહેવાલ પ્રમાણે, આત્મહત્યાના સૌથી વધુ કેસ દૈનિક મજૂરી કરતા લોકોમાં નોંધાયા છે. કુલ કેસોમાં ૩૫ ટકા જેટલા મજૂરો હતા. ગૃહિણીઓમાં પણ આત્મહત્યાનું પ્રમાણ ઊંચું જોવા મળ્યું છે. વિદ્યાર્થીઓ, ધંધાર્થીઓ અને નોકરીયાત લોકોમાં પણ આ પ્રકારના બનાવો નોંધપાત્ર રીતે વધી રહ્યા છે.

આત્મહત્યાના મુખ્ય કારણોમાં પારિવારિક ઝઘડા, ગંભીર બીમારીઓ, લગ્નજીવનના પ્રશ્નો, પ્રેમ સંબંધો, કારકિર્દીનું દબાણ અને આર્થિક સંકળામણનો સમાવેશ થાય છે. ગંભીર બીમારીઓમાં માનસિક તણાવ અને ડિપ્રેશન જેવા કારણો પણ મોટી સંખ્યામાં જવાબદાર હોવાનું સામે આવ્યું છે. વિશેષજ્ઞોનું માનવું છે કે ઝડપભરી જીવનશૈલી, વધતો તણાવ, એકલતા અને સામાજિક દબાણ લોકોના માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી રહ્યા છે. સમાજમાં માનસિક આરોગ્ય અંગે જાગૃતિ વધારવાની જરૂરિયાત હવે પહેલા કરતાં વધુ મહત્ત્વની બની છે.