ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની માંગ પર સરકાર મૌન
મુસ્લિમ ધર્મગુરુઓ દ્વારા બકરી ઈદ પહેલાં ગાયને રાષ્ટ્રીય પશુ બનાવવાની ઉઠી માંગ
-
» યોગી આદિત્યનાથે કહ્યું, માતા અને પુત્ર વચ્ચે કોઈ જાહેરાતની જરૂર હોતી નથી
-
» જો ગાય રાષ્ટ્રીય પ્રાણી બને તો વાઇલ્ડલાઇફ એક્ટ હેઠળ સુરક્ષા આપવી પડે
ભારતમાંથી ભેંસના માંસની જંગી નિકાસ
વાણિજ્ય મંત્રાલયે ગોવંશના માંસની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે, તેમ છતાં ભેંસના માંસની નિકાસ સામે અનેક સવાલો ઉભા થયા છે. વર્ષ ૨૦૨૫ માં ભારતે ૪.૦૬ અબજ ડોલરના ભેંસના માંસની નિકાસ કરી હતી. સ્વામી અવિમુક્તેશ્વરાનંદે તાજેતરમાં દાવો કર્યો હતો કે DNA પરીક્ષણ વિના જ કતલ થતી હોવાથી ભેંસના માંસના નામે ગોમાંસની નિકાસ થઈ રહી હોવાની આશંકા છે.
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
તાજેતરમાં મુસ્લિમ ધર્મગુરુઓ દ્વારા ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની છેલ્લી માંગ પર શાસક પક્ષ ભાજપના મોટા નેતાઓ મૌન સેવી રહ્યા છે. બકરી ઈદ પહેલાં પશ્ચિમ બંગાળમાં ગોવંશની કતલ પર નિયંત્રણો મુકાતા શરૂ થયેલી આ ચર્ચાએ હવે નવો વળાંક લીધો છે. જમિયત ઉલેમા-એ-હિંદના અધ્યક્ષ અર્શદ મદની અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામીદ અન્સારીએ આ માંગનું સમર્થન કર્યું છે.
મુસ્લિમ ધર્મગુરુઓની માંગ પર પ્રતિક્રિયા આપતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, ગાય આપણી માતા છે અને માતા અને પુત્ર વચ્ચે સંબંધ જાહેર કરવાની કોઈ જરૂર હોતી નથી. તેમણે ધર્મગુરુઓને નિશાન બનાવતા કહ્યું કે જે લોકો ગાય માતાને પ્રાણી કહી રહ્યા છે તેમની વિચારસરણી પશુ જેવી છે. બીજી તરફ, કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલે સ્પષ્ટ કર્યું છે કે હાલ કેન્દ્ર સરકાર કે કેબિનેટ સમક્ષ ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા અંગેની કોઈ જ દરખાસ્ત વિચારાધીન નથી.
કાનૂની નિષ્ણાતોના મતે, જો ગાયને 'રાષ્ટ્રીય પ્રાણી' નો દરજ્જો મળે, તો તેને રક્ષણ આપવા માટે વાઇલ્ડલાઇફ (પ્રોટેક્શન) એક્ટ, ૧૯૭૨ જેવી કડક જોગવાઈઓ કરવી પડશે. આનાથી ગોવંશની કતલ અને તેના કાનૂની વેપાર પર દેશવ્યાપી સંપૂર્ણ પ્રતિબંધ લાગી જશે, જેની સીધી અસર દેશના માંસ અને ચામડા ઉદ્યોગ પર પડશે. જોકે, ભૂતપૂર્વ કાયદા સચિવ પીકે મલ્હોત્રાનું માનવું છે કે આવા કાયદાની કોઈ 'વ્યવહારુ ઉપયોગિતા' નહીં હોય અને તે માત્ર પ્રતીકાત્મક બની રહેશે. કાયદાકીય દ્રષ્ટિએ, આવા કોઈ પણ રાષ્ટ્રીય કાયદાના અમલીકરણ અને દેખરેખ માટે એક અલગ વ્યવસ્થાતંત્ર ઊભું કરવું પડશે, જે જટિલ સાબિત થઈ શકે છે. હાલ બંધારણની કલમ ૪૮ અંતર્ગત રાજ્યો પોતાના સ્થાનિક કાયદા ઘડીને પશુધનની કતલ પર નિયંત્રણ મૂકી શકે છે અને ઘણા રાજ્યોએ અગાઉથી જ આવા કાયદાઓ લાગુ પણ કર્યા છે.