ઈમરાન ખાનનું જેલમાં મોત થયાનો દાવો
- » પૂર્વ વડાપ્રધાનને લઈ પાકિસ્તાનની પત્રકારે કર્યો સનસનાટી ભર્યો દાવો
- » પરિવાર અને પાર્ટી નેતાઓને મુલાકાતની મંજૂરી નહીં
સિટી ન્યૂઝ@ઇસ્લામાબાદ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ એટલે કે PTIના સ્થાપક ઈમરાન ખાનના જેલમાં મોતના સમાચારથી પાકિસ્તાનના રાજકારણમાં હલચલ વધી ગઈ છે. પાકિસ્તાનની પત્રકારના એક દાવો પછી ઈમરાનની તબિયત અને તેમની સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે. પાકિસ્તાની પત્રકાર સાઈદ જાફરે પોતાની યુટ્યુબ ચેનલ પર દાવો કર્યો કે ત્રણ વરિષ્ઠ સૈન્ય સૂત્રોએ તેમને જણાવ્યું છે કે તેમને આશંકા છે કે ઈમરાન ખાન હવે જીવતા નથી. પત્રકારે એ પણ સ્પષ્ટ કર્યું કે આ સૂત્રોએ પોતે ઈમરાનને મૃત જોયા નથી અને તેમનો દાવો પ્રત્યક્ષ પુષ્ટિ પર આધારિત નથી. તેમ છતાં તેમના દાવાઓ જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાનની સ્થિતિને લઈને પહેલેથી ચાલી રહેલી અટકળોને વધુ હવા આપી છે. ઈમરાન ખાનની તબિયતને લઈને ચિંતા એટલા માટે વધી છે કારણ કે તેમના પરિવાર, પાર્ટી નેતાઓ, વકીલો અને જાનગી ડોક્ટરોની તેમની મુલાકાતને લઈને સતત વિવાદ રહ્યો છે. PTI પહેલા પણ ઈમરાનને અલગ રાખવા અને તેમની સારવારને લઈને સવાલો ઉઠાવતી રહી છે. જૂનમાં પાર્ટીએ તેમને હોસ્પિટલ મોકલવા, નિયમિત મુલાકાતની મંજૂરી આપવા અને જાનગી ડોક્ટરો દ્વારા તપાસ કરાવવાની માંગ કરી હતી. બે મહિનામાં પણ ઈમરાનની બહેનો અને ખૈબર પખ્તુનઘવાના મુખ્યમંત્રી સોહેલ આફ્રિદીએ અદિયાલા જેલ પહોંચતા રોકવામાં આવ્યા હતા. તેને લઈને PTIએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઈમરાન ખાનની સ્થિતિને લઈને વધતી ચિંતા હવે રાજકીય ટકરાવનું રૂપ લઈ રહી છે.