હાઈકોર્ટની બે સગીર દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી
સાબરકાંઠાની 16 વર્ષની સગીરાને 26 સપ્તાહનો અને કચ્છની 17 વર્ષીયને 16 સપ્તાહનો ગર્ભ
સિટી ન્યૂઝ@અમદાવાદ
ગુજરાત હાઈકોર્ટે એક સંવેદનશીલ ચુકાદો આપતાં સાબરકાંઠા અને કચ્છની બે દુષ્કર્મ પીડિત સગીરાઓને ગર્ભપાતની મંજૂરી આપી દીધી છે. કોર્ટે સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાઓ અને પીડિત સગીરાઓના શારીરિક તથા માનસિક હિતને ધ્યાનમાં રાખીને આ મહત્વનો આદેશ કર્યો છે. આ પ્રક્રિયા માટે નિષ્ણાત ડૉક્ટરોની વિશેષ પેનલની રચના કરવામાં આવશે અને કાનૂની તપાસના ભાગરૂપે ગર્ભના ડીએનએ સેમ્પલ પણ સાચવવામાં આવશે. પ્રથમ કેસમાં સાબરકાંઠાના હિંમતનગર B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે ૧૬ વર્ષની સગીર પીડિતાના ગર્ભપાત માટે કોર્ટમાં દાદ માંગવામાં આવી હતી.
મેડિકલ રિપોર્ટ અનુસાર, સગીરાને ૨૬ અઠવાડિયા અને ૦૩ દિવસનો ગર્ભ હતો. કોર્ટે પીડિતાની માનસિક સ્થિતિને ધ્યાને રાખી હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટરોની દેખરેખ હેઠળ ગર્ભપાતની પ્રક્રિયા પૂર્ણ કરવા આદેશ આપ્યો છે. બીજા કેસમાં કચ્છની ૧૭ વર્ષની સગીરા સામેલ છે, જેને ૧૬ સપ્તાહનો ગર્ભ છે અને અંગે ગાંધીધામ A ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયેલો છે. આ સગીરા એનિમીયા (લોહીની ઉણપ)ની બીમારીથી પીડિત હોવા છતાં, કોર્ટે તમામ તબીબી તપાસ ચકાસીને ગાંધીધામ જનરલ હોસ્પિટલમાં ગર્ભપાતની મંજૂરી આપી છે. જોકે, બંને કેસમાં પીડિતા અને તેમના પરિવારે પોતાના જોખમે સર્જરી કરાવવા માટે યોગ્ય બાંહેધરી પત્ર આપવાનું રહેશે. હાઈકોર્ટે ચુકાદામાં સ્પષ્ટતા કરી છે કે, જો ગર્ભપાતની પ્રક્રિયા દરમિયાન બાળક જીવિત જન્મે, તો હોસ્પિટલે તેને તમામ શ્રેષ્ઠ તબીબી સારવાર આપવાની રહેશે.
જો પીડિતા કે તેનો પરિવાર આ બાળકની જવાબદારી લેવા તૈયાર ન થાય, તો રાજ્ય સરકાર અને તેની સંબંધિત એજન્સીઓએ જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ બાળકની સંપૂર્ણ જવાબદારી સંભાળવી પડશે. આ ઉપરાંત ભવિષ્યની કાનૂની તપાસ અને પુરાવા માટે ડૉક્ટરોએ ગર્ભમાંથી વૈજ્ઞાનિક પદ્ધતિથી DNA ટિશ્યુ સેમ્પલ મેળવીને તપાસ અધિકારીને સોંપવાના રહેશે.