Loading Please Wait !!!
ખેડૂત હારી ગયો...

  • કપાસ અને મગફળીનું વાવેતર નિષ્ફળ જવાની ચિંતામાં દવા પી આત્મહત્યા કરી
  • કાલાવડના ખેડૂતની આશા તૂટી દવા પી લેતા સારવાર દરમિયાન મોત

સિટી ન્યૂઝ@કાલાવડ

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સતિયા ગામમાં વરસાદના અભાવે પાક નિષ્ફળ જતાં એક ખેડૂતે આત્મહત્યા કરી લીધી છે. કપ વર્ષીય ગાંગજીભાઈ બેચરભાઈ ચૌહાણનું જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ, ગાંગજી ચૌહાણો પોતાની ખેતીનો પાક નિષ્ફળ જવાની ચિંતામાં આવીને ૧૦ જુલાઈના રોજ પોતાની વાડીમાં ઝેરી દવા પી લીધી હતી. તેમને તાત્કાલિક જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું.

આ બનાવ અંગે મૃતકના પુત્ર નરેશભાઈ ગાંગજીભાઈ ચૌહાણે કાલાવડ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એન. કે. હૈયાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ ૧૯૪ હેઠળ અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક ખેડૂત ગાંગજીભાઈ વર્ષોથી ખેતીવાડી સંભાળતા હતા અને તેમના બે પુત્ર પણ તેમને ખેતીકામમાં મદદ કરતા હતા. તેમણે તાજેતરમાં મગફળી અને કપાસનું વાવેતર કર્યું હતું, પરંતુ વરસાદ ખેંચાવાને કારણે તેમનો પાક નિષ્ફળ ગયો હતો. દેવાના ડુંગરમાં ફસાઈ જવાની ભીતિથી તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ચાલુ ચોમાસામાં પાક નિષ્ફળ જવાની ચિંતાને પગલે જિલ્લામાં સામે આવેલા આ બનાવે ખેડૂત વર્ગમાં વ્યાપક ચિંતા જગાવી છે. જોકે, પોલીસ આત્મહત્યાના ચોક્કસ કારણો અને બનાવના તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.