Loading Please Wait !!!
પશ્ચિમ બંગાળમાં નવી ભાજપ સરકાર સામે 'તોલાબાજી' અને 'કટ મની'ના ગંભીર આક્ષેપો!

 

  • રાજ્યમાં સરકાર રચાયાને હજુ ત્રણ મહિના પણ પૂરા થયા નથી.

  • પદાધિકારીઓમાં મંડળ અધ્યક્ષો પણ સામેલ હોવાનું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું.

  • સંતોષકારક ખુલાસો ન કરનાર સભ્યો સામે શિસ્તભંગના પગલાં લેવાયા છે.

સિટી ન્યુઝ @ કોલકાતા

કોલકાતા, પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન થયા બાદ પણ 'તોલાબાજી' અને 'કટ મनी' ના ગંભીર આરોપોથી નવી ભાજપ સરકાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. રાજ્યમાં સરકાર રચાયાને હજુ 3 મહિના પણ પૂરા થયા નથી, ત્યાં ભાજપના જ કેટલાક નેતાઓ પર ખંડણીના આક્ષેપો લાગવા લાગ્યા છે. આ સ્થિતિથી પાર્ટીની અંદર આંતરિક અસંતોષ અને જૂથબંધી પણ વધવા લાગી છે, જેના કારણે સંગઠનની ચિંતાઓ વધી ગઈ છે.

આ ગંભીર આક્ષેપો અને શિસ્તભંગના મુદ્દે ભાજપે સંગઠનાત્મક સ્તરે મોટી કાર્યવાહી કરીને પોતાના 22 પદાધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. જેમાં કેટલાક મંડળ અધ્યક્ષો પણ સામેલ છે. પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર, કોલકાતા અને આસપાસના જિલ્લાઓમાંથી ફરિયાદો મળ્યા બાદ 250 થી વધુ નેતાઓને કારણ દર્શક નોટિસ આપવામાં આવી હતી. જેમાંથી સંતોષકારક ખુલાસો ન કરનાર 22 સભ્યો સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવ્યા છે.

પાર્ટીના નામે થઈ રહેલી ગેરકાયદે ખંડણીને ખુદ પ્રદેશ અધ્યક્ષ શમિક ભટ્ટાચાર્યએ સ્વીકારી લીધી છે અને સ્પષ્ટ ચેતવણી આપીને 15 દિવસનું અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું છે. આ મામલે સંગઠન દ્વારા પક્ષની છબી સુધારવા માટે કડક પગલાં લેવાની શરતો પણ મૂકવામાં આવી છે જેથી ભવિષ્યમાં આવી ગેરરીતિઓ અટકાવી શકાય.

બીજી તરફ, સરકાર દ્વારા ભ્રષ્ટાચાર સામે 'ઝીરો ટોલરન્સ' ની નીતિ અપનાવવામાં આવી છે અને નાગરિકો માટે ચાર વિશેષ ટોલ-ફ્રી નંબર પણ જારી કરવામાં આવ્યા છે જેથી જનતા સીધી ફરિયાદ કરી શકે. સરકારનું માનવું છે કે સામાન્ય જનતાને પડતી મુશ્કેલીઓ અને ભ્રષ્ટાચારના કિસ્સાઓમાં ત્વરિત કાર્યવાહી કરવાથી પ્રશાસનમાં પારદર્શિતા આવશે.

આ આખી ઘટના બાદ રાજકીય સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે અને વિપક્ષી પાર્ટીઓ પણ આ મુદ્દે સત્તાધારી પક્ષ પર પ્રહારો કરી રહી છે. આગામી દિવસોમાં સંગઠન અને સરકાર દ્વારા લેવાનાર પગલાં જ નક્કી કરશે કે આ આંતરિક કલહ પર કઈ રીતે કાબૂ મેળવવામાં આવે છે.