Loading Please Wait !!!
સંબંધોની અગ્નિપરીક્ષા! અમદાવાદમાં દર વર્ષે 550 બાળકોના DNA ટેસ્ટ: અવિશ્વાસને કારણે ‘પીસ ઓફ માઈન્ડ’નો નવો ક્રેઝ

 

  • પત્ની પર શંકા અને પિતૃત્વના સવાલોએ વધાર્યું લેબોરેટરીઓનું કામ; 30થી 40% કેસમાં પિતા બીજા હોવાનો ચોંકાવનારો ખુલાસો

  •  IVF અને સરોગસીમાં હોસ્પિટલ પર શંકા; ₹50 હજારના ખર્ચ છતાં ટેસ્ટ કરાવનારાઓમાં શિક્ષિતથી લઈને શ્રમિકોનો સમાવેશ

  • શહેરો જ નહીં, ગામડાઓમાં પણ અવિશ્વાસનું ઝેર; 70% કિસ્સામાં શંકા કરનાર પિતા જ અસલી વાલી નીકળે છે

    અમદાવાદ: અગાઉ માત્ર ટીવી સિરિયલો કે ક્રાઈમ થ્રિલર ફિલ્મોમાં જોવા મળતા કિસ્સાઓ હવે વાસ્તવિક જીવનમાં આપણી આસપાસ બની રહ્યા છે. અમદાવાદમાં દંપતીઓ વચ્ચે વધતા અવિશ્વાસને કારણે 'પીસ ઓફ માઈન્ડ' (માનસિક શાંતિ) માટે બાળકના DNA ટેસ્ટ કરાવવાનો ટ્રેન્ડ ચિંતાજનક રીતે વધ્યો છે. સરકારી અને ખાનગી લેબોરેટરીઓના ડેટા મુજબ, શહેરમાં દર વર્ષે આશરે 550 જેટલા બાળકોના DNA ટેસ્ટ પિતૃત્વની ઓળખ માટે કરવામાં આવી રહ્યા છે.

     શંકા અને છૂટાછેડાનું કારણ લેબ નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, મુખ્યત્વે 30થી 40 વર્ષની વયના દંપતીઓ આ ટેસ્ટ માટે આવતા હોય છે. પત્ની પર શંકા, છૂટાછેડા સમયે ભરણપોષણની જવાબદારીમાંથી બચવા અથવા બાળકને કોઈ ગંભીર બીમારી (જેમ કે થેલેસેમિયા) હોય ત્યારે પિતાને 'બાળક મારું નથી' તેવી શંકા જતાં આ ટેસ્ટ કરવામાં આવે છે. ચોંકાવનારી વાત એ છે કે, 60થી 70 ટકા કેસમાં શંકા કરનાર વ્યક્તિ જ અસલી પિતા સાબિત થાય છે, જ્યારે 30થી 40 ટકા કેસમાં પિતા કોઈ અન્ય હોવાનું સામે આવે છે.

    ખર્ચાળ છતાં વધતું પ્રમાણ ખાનગી લેબમાં પિતા અને બાળકના ટેસ્ટનો ખર્ચ ₹25થી 30 હજાર અને માતા સહિત ત્રણેયના ટેસ્ટનો ખર્ચ ₹50 હજાર સુધી પહોંચી જાય છે. આટલો મોટો ખર્ચ હોવા છતાં, માત્ર શિક્ષિત કે શહેરી લોકો જ નહીં પણ શ્રમિક વર્ગ અને અન્ય રાજ્યોમાંથી પણ લોકો અમદાવાદ આવે છે.

    IVF અને સરોગસીમાં હોસ્પિટલ પર શંકા માત્ર દંપતીઓ જ નહીં, પણ હવે IVF અને સરોગસી પ્રક્રિયામાં પણ દવાખાનાઓ પર શંકા જતાં DNA ટેસ્ટ કરાવાય છે. દંપતીને શંકા હોય છે કે હોસ્પિટલે સફળતા બતાવવા માટે અન્ય કોઈના ઈંડા કે શુક્રાણુનો ઉપયોગ તો નથી કર્યો ને? જોકે, આવા 90 ટકા કિસ્સામાં દંપતી જ સાચા માતા-પિતા હોવાનું રિપોર્ટમાં સાબિત થાય છે. દંપતીઓના આ ઈગો અને અવિશ્વાસના જંગમાં માસૂમ બાળકોનું બાળપણ પીસાઈ રહ્યું છે.