Loading Please Wait !!!
થાનગઢના સિરામિક ઉદ્યોગકારોની મુખ્યમંત્રીને હાકલ: ધોળેશ્વર ફાટકનો ત્રાસ દૂર કરવા બાયપાસની માંગ

  • 24 કલાકમાં 70 થી વધુ ટ્રેનો પસાર થતા ઉદ્યોગને લાગી બ્રેક; ટ્રાફિકની સમસ્યાથી ટ્રાન્સપોર્ટરો પરેશાન
  • ધોળેશ્વર રેલવે ફાટક ઉદ્યોગના વિકાસમાં સૌથી મોટી અડચણ; દર 20 મિનિટે ફાટક બંધ રહેતા હાલાકી
  • રોજ 5 લાખ લોકોની અવરજવર છતાં વ્યવસ્થાનો અભાવ; સુરેશભાઈ સોમપુરા સહિતના આગેવાનો મેદાનમાં

સિટી ન્યુઝ @ સુરેન્દ્રનગર

ગુજરાતના મહત્વના સિરામિક હબ તરીકે ઉભરી રહેલા થાનગઢમાં ઉદ્યોગના વિકાસને ટ્રાફિકની ગંભીર સમસ્યા નડી રહી છે. થાનગઢ પંચાલ સિરામિક સંગઠન દ્વારા ગુજરાત સરકારને થાનગઢમાં તાત્કાલિક બાયપાસ રોડ બનાવવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે. થાનગઢમાં હાલમાં 1000થી વધુ નાના-મોટા સિરામિક એકમો કાર્યરત છે, જ્યાંથી રોજના 2500થી વધુ ટ્રક અને કન્ટેનર જેવા વાહનોની અવરજવર રહે છે. જોકે, પાયાની માળખાગત સુવિધાઓના અભાવે આ ઉદ્યોગ અત્યારે સંકટમાં મુકાયો છે.

ધોળેશ્વર ફાટક: ઉદ્યોગની મુખ્ય અડચણ થાનગઢના ઉદ્યોગકારો માટે અત્યારે સૌથી મોટી માથાના દુખાવા સમાન સમસ્યા ધોળેશ્વર રેલવે ફાટક છે. આ ફાટક પરથી 24 કલાકમાં 70થી વધુ ટ્રેનો પસાર થાય છે, જેના કારણે દર 20થી 25 મિનિટે ફાટક બંધ રહે છે. મોટાભાગના સિરામિક ઉદ્યોગો ફાટકની બહારના વિસ્તારમાં આવેલા છે, પરિણામે કાચો માલ લાવવામાં કે તૈયાર માલ મોકલવામાં વાહનો કલાકો સુધી ફાટક પર ફસાયેલા રહે છે. આ રસ્તેથી રોજ અંદાજે 5 લાખથી વધુ લોકો પસાર થાય છે, જેમને ટ્રાફિક જામને કારણે પારાવાર મુશ્કેલી પડે છે.

મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત આ ગંભીર સમસ્યાના કાયમી નિરાકરણ માટે પંચાલ સિરામિક સંગઠનના આગેવાનોએ મુખ્યમંત્રીને પત્ર લખી બાયપાસ રોડની માંગ કરી છે. આ રજૂઆતમાં સંગઠનના પ્રમુખ સુરેશભાઈ સોમપુરા, નાનજીભાઈ પટેલ, સંજયભાઈ પ્રજાપતિ, નીતિનભાઈ શાહ અને મુકેશભાઈ મકવાણા સહિતના આગેવાનો જોડાયા હતા. તેઓનું કહેવું છે કે થાનગઢનો ઉદ્યોગ સીધો મોરબી અને અન્ય રાજ્યો સાથે જોડાયેલો છે, પરંતુ યોગ્ય રસ્તાના અભાવે ટ્રાન્સપોર્ટરો હવે થાનગઢ આવવા માટે આનાકાની કરી રહ્યા છે.

બાયપાસ રોડની અનિવાર્યતા થાનગઢ પંચાલ સિરામિકના ઉપપ્રમુખ શાંતિલાલભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઉદ્યોગને વધુ ગતિ આપવા અને ભવિષ્યના વિકાસ માટે બાયપાસ રોડ હવે અત્યંત અનિવાર્ય બની ગયો છે. હાલમાં તમામ માલવાહક વાહનોએ ફરજિયાતપણે શહેરના ગીચ બજાર અને રેલવે ફાટક ઓળંગીને જવું પડે છે. ટ્રાફિકની આ સમસ્યાને કારણે સમય અને ઇંધણનો મોટો વ્યય થાય છે. જો સરકાર દ્વારા બાયપાસ રોડની સુવિધા આપવામાં આવે, તો થાનગઢનો સિરામિક ઉદ્યોગ નવી ઊંચાઈઓ સર કરી શકે છે અને વધુ રોજગારીનું સર્જન પણ થઈ શકે છે.

હાલમાં ઉદ્યોગકારોની આ રજૂઆત બાદ સરકાર અને વહીવટી તંત્ર દ્વારા આ મામલે કેવો પ્રતિસાદ આપવામાં આવે છે તેના પર સૌની નજર ટકેલી છે. થાનગઢના અર્થતંત્રને ટકાવી રાખવા માટે આ બાયપાસ રોડ માત્ર ઉદ્યોગકારો જ નહીં પણ સામાન્ય જનતા માટે પણ આશીર્વાદ સમાન સાબિત થશે.