Loading Please Wait !!!
તમિલનાડુના 52 મંદિરોમાં કેમેરાવાળા ફોન પર પ્રતિબંધ: પવિત્રતા જાળવવા સરકારનો નિર્ણય

 

  • હિન્દુ ધાર્મિક અને ધર્માર્થ બંદોબસ્ત મંત્રી રમેશે સ્પષ્ટતા કરી કે પ્રતિબંધ માત્ર કેમેરાવાળા ફોન પર રહેશે

  • મંદિર પરિસરમાં ફોટોગ્રાફી, વીડિયો અને રીલ્સ બનાવવાની ફરિયાદો વધતાં લેવાયો આકરો નિર્ણય

  • સ્માર્ટફોન વગરના સામાન્ય કીપેડ ફોન ભક્તો કોઈપણ રોકટોક વગર સાથે રાખી શકશે

સિટી ન્યુઝ @ ચેન્નઈ

તમિલનાડુ સરકારે રાજ્યભરના મુખ્ય 52 સુપ્રસિદ્ધ મંદિરોમાં શ્રદ્ધાળુઓ માટે કેમેરાવાળા મોબાઈલ ફોન લઈ જવા પર સત્તાવાર રીતે સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. દેવાલયોની પવિત્રતા, સુરક્ષા અને પરંપરાગત આધ્યાત્મિક વાતાવરણ જાળવી રાખવાના ઉદ્દેશથી મંગળવારથી આ કડક નિયમનો અમલ શરૂ કરવામાં આવ્યો છે.

રાજ્યના હિન્દુ ધાર્મિક અને ધર્માર્થ બંદોબસ્ત મંત્રી રમેશે આ અંગે વિગત આપતાં સ્પષ્ટ કર્યું હતું કે આ પ્રતિબંધ માત્ર સ્માર્ટફોન અને કેમેરા ધરાવતા મોબાઈલ ફોન પર જ લાગુ પડશે. જે ભક્તો પાસે કેમેરા વિનાના સામાન્ય ફીચર ફોન (કીપેડ ફોન) હશે, તેમને મંદિર પરિસરમાં કોઈ પણ જાતની અડચણ વિના ફોન સાથે લઈ જવાની છૂટ આપવામાં આવશે.

અગાઉ મંદિરોમાં મોબાઈલના ઉપયોગ પર સામાન્ય મનાઈ હોવા છતાં અનેક યાત્રાળુઓ ગર્ભગૃહ અને પ્રાંગણમાં ફોટોગ્રાફી, સેલ્ફી, વીડિયો શૂટિંગ તેમજ સોશિયલ મીડિયા રીલ્સ બનાવતા હોવાની વ્યાપક ફરિયાદો મળી રહી હતી. આ પ્રકારની પ્રવૃત્તિઓથી પૂજા-અર્ચનામાં ખલેલ પહોંચતી હોવાથી સરકારે આખરે આ આકરૂં પગલું ભરવું પડ્યું છે.

શ્રદ્ધાળુઓની સગવડતાને ધ્યાને રાખીને તમામ 52 મંદિરોના પ્રવેશદ્વાર પાસે પેઈડ મોબાઈલ જમા કાઉન્ટર તેમજ અદ્યતન સુરક્ષિત લોકર રૂમ ઊભા કરવામાં આવ્યા છે, જેથી દર્શને જતાં પહેલાં ભક્તો પોતાના કિંમતી ફોન સુરક્ષિત રીતે જમા કરાવી શકે.

રાજ્યના મોટા અને વધુ ભીડ ધરાવતા સુપ્રસિદ્ધ મંદિરોમાં એક જ સમયે 20,000 જેટલા મોબાઈલ ફોન સાચવી શકાય તેવી સુવ્યવસ્થિત વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે. આ વ્યવસ્થાથી મંદિરોમાં દર્શન વ્યવસ્થા વધુ સુગમ અને શાંતિપૂર્ણ બનશે.

તમિલનાડુના મંદિરોમાં કેમેરા ફોન પર બેન

તમિલનાડુ સરકારે આધ્યાત્મિક માહોલ જાળવવા અને રીલ્સ-સેલ્ફી રોકવા રાજ્યના 52 મંદિરોમાં કેમેરાવાળા સ્માર્ટફોન પર પ્રતિબંધ મૂક્યો છે. જોકે કેમેરા વિનાના સાદા ફોન લઈ જવાની મંજૂરી રહેશે. ભક્તોની સુવિધા માટે પ્રવેશદ્વાર પર પેઈડ કાઉન્ટર અને લોકર્સ બનાવાયા છે, જેમાં મોટા મંદિરોમાં 20 હજાર ફોન સુરક્ષિત રાખવાની વ્યવસ્થા કરાઈ છે.