સુરતમાં 'રોડ-ધબડકા': 16 દિવસમાં 5 મોટા રસ્તા ધરાશાયી, કોન્ટ્રાક્ટરોની પોલ ખૂલી
- 41 વર્ષનો અનુભવ ધરાવતી કંપનીઓ પણ નબળા કામમાં નિષ્ફળ, તંત્ર દ્વારા શો-કોઝ નોટિસ
- મોટા વરાછામાં 700 મીટર રોડ જમીનમાં ગરકાવ, અમેરિકામાં પ્રોજેક્ટ કરનાર કંપની ભારતમાં નિષ્ફળ
- 16 દિવસમાં 5 વખત રસ્તા બેસી જવાની ઘટનાથી નાગરિકોમાં ફફડાટ, કોર્પોરેશનની ગંભીર બેદરકારી
સિટી ન્યૂઝ @ સુરત
સ્માર્ટ સિટી સુરતમાં ચોમાસાની શરૂઆત થતાં જ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરીની પોલ ખૂલી ગઈ છે. છેલ્લા માત્ર 16 દિવસમાં શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પાંચ મોટા રસ્તાઓ જમીનમાં ગરકાવ થવાની અને વિશાળ ભૂવા પડવાની ગંભીર ઘટનાઓ સામે આવી છે. ડીંડોલીથી લઈને મોટા વરાછા સુધી ફેલાયેલા આ ભૂવાઓએ તંત્રની ગુણવત્તા ચકાસણી પર મોટા પ્રશ્નો ઉભા કર્યા છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) દ્વારા આ મામલે તાત્કાલિક અસરથી પાંચ મોટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સીઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.
સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે જે કંપનીઓના રસ્તા ધોવાઈ ગયા છે, તે 10 વર્ષથી લઈને 41 વર્ષ સુધીનો બહોળો અનુભવ ધરાવે છે. એક તરફ જે એજન્સીઓ ભારતમાં આવા નિમ્ન કક્ષાના કામ કરી રહી છે, તેમાંથી એક કંપની અમેરિકામાં પણ પ્રોજેક્ટ શરૂ કરવા માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરી રહી છે, જે સુરતના વિકાસ કાર્યોની ગુણવત્તા સામે સવાલ ઉઠાવે છે. 30 જૂનના રોજ મોટા વરાછામાં 700 મીટર લાંબો રસ્તો બેસી જવાની ઘટનાએ તો ભૂકંપ જેવા દ્રશ્યો સર્જ્યા હતા, જેમાં અનેક મોંઘી કારો જમીનમાં દબાઈ ગઈ હતી.
આ ઉપરાંત, 1 જુલાઈના રોજ પાંડેસરામાં 35 મુસાફરો ભરેલી એસટી બસ વિશાળ ખાડામાં ફસાઈ જતાં મોટી હોનારત ટળી હતી. ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીના વિસ્તારમાં પણ ડ્રેનેજની નબળી કામગીરીને લીધે 40 મીટર રસ્તો બેસી ગયો હતો. ડ્રેનેજ લાઈન નાખવાની જવાબદારી કોર્પોરેશનની હોવાનું સ્વીકારીને ડેપ્યુટી મેયરે તપાસના સંકેત આપ્યા છે. શહેરમાં એક પછી એક વિસ્તારોમાં રસ્તાઓ પત્તાના મહેલની જેમ તૂટી રહ્યા છે, જેના કારણે સ્થાનિકોમાં રોષની સાથે ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સુરતીઓ હવે એ પ્રશ્ન પૂછી રહ્યા છે કે ટેક્સના પૈસાનો ઉપયોગ આ રીતે રસ્તાઓ ધોવા માટે જ થવાનો છે?
અનુભવ કે બેદરકારી?
જ્યારે 10 થી 41 વર્ષનો અનુભવ ધરાવતી કંપનીઓ 40 થી 700 મીટરના રસ્તા પણ ચોમાસાની પહેલી ઝાપટમાં બચાવી શકતી નથી, ત્યારે તે સ્પષ્ટપણે ગુણવત્તા અને દેખરેખના અભાવને દર્શાવે છે. આ માત્ર ટેકનિકલ ખામી નથી, પરંતુ સ્માર્ટ સિટીના દાવાઓની નીચે દબાયેલી ભ્રષ્ટાચારની વાસ્તવિકતા છે. કોર્પોરેશનની નોટિસ માત્ર એક કાગળ ન બની રહે, પરંતુ જવાબદાર એજન્સીઓ સામે કડક દંડનાત્મક કાર્યવાહી થાય તે સમયની માંગ છે. સુરતના નાગરિકોની સુરક્ષા હવે સવાલના ઘેરામાં છે.