સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અંધેર તંત્ર B.Sc.નું 38 દિવસથી રિઝલ્ટ અટક્યું
- શિક્ષણ તંત્રની બેદરકારી હજારો વિદ્યાર્થીઓનું ભાવિ અધવચ્ચે અટકયું
- અધિકારીઓ ગેરહાજર, વિદ્યાર્થીઓ પરેશાન
સિટી ન્યૂઝ@રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા વિભાગનું અંધેરતંત્ર સામે આવ્યું છે. અહીં B.Sc. સેમ.6 ના 1268 વિદ્યાર્થીઓ પરીક્ષાના 38 દિવસ બાદ પણ પરિણામ વિહોણા છે. તાત્કાલિક પરિણામ જાહેર કરવા માટે કુલપતિ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. આમ છતાં પણ રીઝલ્ટ જાહેર કરવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા વિભાગમાં પોતાના પરિણામ અંગે પૂછવા માટે આવે છે ત્યારે ઇન્ચાર્જ પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહ મોટાભાગે ગેરહાજર જોવા મળે છે. જ્યારે પરીક્ષા વિભાગના OSD નિલેશ સોની આફ્રિકા ફરવા ગયા હોવાથી વિદ્યાર્થીઓ વિલા મોઢે પરત ફરે છે. જેથી કુલપતિ અને રજીસ્ટ્રાર દ્વારા ધણીધોરી વિનાના પરીક્ષા વિભાગની કમાન અનુભવી અને સંનિષ્ઠ અધિકારીના હાથમાં સોંપવામાં આવે તે જરૂરી છે.
પ્રાપ્ત વિગત મુજબ, ગત 30 માર્ચથી બેચલર અને માસ્ટર ડિગ્રીના છેલ્લા સેમેસ્ટરના 45,296 વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ હતી. 120 પરીક્ષા કેન્દ્ર પરથી આ એક્ઝામ લેવામાં આવી હતી. જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓના પરિણામ જાહેર થઈ ગયા પરંતુ બી.એસસી. સેમેસ્ટર - 6 નુ રિઝલ્ટ 38 દિવસ બાદ પણ જાહેર ન થતા 1268 વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ સિવાય સેમેસ્ટર -6 માં બી.એ.માં 13686, બી.કોમ.માં 11493, બી.સી.એ. માં 5903, બી.બી.એ. માં 2992 અને એલ. એલ. બી. માં 2311 છાત્રોએ પરીક્ષા આપી હતી. જેના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે.
યુનિવર્સિટીમાં કાયમી પરીક્ષા નિયામકની જગ્યા પર લાંબા સમયથી ભરતી થઈ નથી. જેથી પરીક્ષા વિભાગનો વહીવટ ખાડે ગયો છે. વિદ્યાર્થીઓની પરીક્ષા તો ઝડપથી લેવાય છે પરંતુ પરિણામો મોડા જાહેર થાય છે. રેગ્યુલર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પરિણામ ત્રણ મહિના બાદ પણ જાહેર થતા નથી જ્યારે અમૂક રીપીટર વિદ્યાર્થીઓને તો રીઝલ્ટ માટે 6 માસથી વધુ સમય રાહ જોવી પડે છે. પેપર ચેકિંગની કામગીરી સંભાળતો સ્ટાફ પણ કોન્ટ્રાક્ટ આધારિત છે ત્યારે યુનિવર્સિટીના કાયમી કુલપતિ ડૉ. ઉત્પલ જોશી અને કુલસચિવ અજયસિંહ જાડેજા દ્વારા પરીક્ષાના પરિણામોની ચોક્કસ તારીખ જાહેર કરી તે તારીખે જ પરિણામો જાહેર થાય તે જરૂરી છે.