"જામનગરના માર્ગો પર દેશભક્તિનો જ્વાળા: શહીદ દિવસ નિમિત્તે NSUI અને યુવક કોંગ્રેસની ગર્જના"
- તળાવની પાળથી હવાઈ ચોક સુધી મશાલ રેલી યોજાઈ - ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને અપાઈ શ્રદ્ધાંજલિ
- જાગૃત યુવા ફાઉન્ડેશન અને NSUI દ્વારા ભવ્ય આયોજન - શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ.
- ગેટ નંબર 1 થી હવાઈ ચોક સુધી નીકળી વિશાળ રેલી - શહીદોના બલિદાનને યાદ કરી વાતાવરણ દેશભક્તિમય બન્યું.
દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના બલિદાનને યાદ કરવા માટે જામનગર શહેરમાં ભવ્ય મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહીદ દિવસના પાવન અવસરે NSUI, યુવક કોંગ્રેસ અને જાગૃત યુવા ફાઉન્ડેશનના નેજા હેઠળ શહેરના યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને શહીદોને અનોખી રીતે સલામી આપી હતી.
આ મશાલ રેલી જામનગરના લાલપુર રોડ પર આવેલા તળાવની પાળ ગેટ નંબર 1 થી શરૂ થઈ હતી. હાથમાં સળગતી મશાલ અને મોઢે દેશભક્તિના ગીતો તેમજ 'ભારત માતા કી જય' ના નારા સાથે રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરીને હવાઈ ચોક ખાતે સંપન્ન થઈ હતી. મશાલના અજવાળાથી જામનગરના માર્ગો દેશભક્તિના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા.
હવાઈ ચોક પહોંચ્યા બાદ તમામ યુવાનો અને આગેવાનોએ ક્રાંતિવીર શહીદ ભગતસિંહની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી. આયોજકોએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય આજની યુવા પેઢીમાં શહીદોના જીવનમાંથી પ્રેરણા મળે અને સમાજમાં વ્યાપ્ત અન્યાય તેમજ અત્યાચાર સામે લડવાની વીરતા કેળવાય તેવો છે.
રેલીમાં જોડાયેલા યુવાનોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. શહીદ દિવસના આ કાર્યક્રમ દ્વારા જામનગરના યુવા સંગઠનોએ રાષ્ટ્રહિત માટે સદાય તત્પર રહેવાનો સંકલ્પ લીધો હતો. આ મશાલ રેલીને જોવા માટે રસ્તાની બંને બાજુ મોટી સંખ્યામાં નગરજનો પણ ઉમટી પડ્યા હતા અને યુવાનોના આ પ્રયાસને બિરદાવ્યો હતો.