વરાછામાં ભ્રૂણ હત્યાના રેકેટનો પર્દાફાશ: ફાર્માસિસ્ટ ડોક્ટર બનીને ગર્ભપાત કરતો ઝડપાયો
- મમતા હોસ્પિટલ પર આરોગ્ય વિભાગના દરોડા; જેલમાંથી છૂટેલા રામગોપાલ ખંડેલવાલે ફરી શરૂ કર્યો 'મોતનો વેપાર'
- આરોગ્ય વિભાગની રેડમાં મોટો ખુલાસો; સફાઈ કામદારે કબૂલ્યું કે ફાર્માસિસ્ટ પોતે જ કરતો હતો ઓપરેશન.
- શિવાય હોસ્પિટલ બાદ હવે મમતા હોસ્પિટલમાં ગોરખધંધો; હોસ્પિટલ સીલ કરી સંચાલકની શોધખોળ તેજ
સિટી ન્યૂઝ @ સુરત : સુરતના વરાછા વિસ્તારમાં ગેરકાયદે ગર્ભપરીક્ષણ અને ભ્રૂણ હત્યાનું નેટવર્ક ફરી એકવાર ધમધમતું થયું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. વરાછા રોડ પર આવેલી 'મમતા મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલ' પર આરોગ્ય વિભાગે દરોડા પાડીને આ આખા ગોરખધંધાનો પર્દાફાશ કર્યો છે. આ રેકેટનો મુખ્ય સૂત્રધાર રામગોપાલ ખંડેલવાલ છે, જે પોતે કોઈ ક્વોલિફાઇડ ડોક્ટર નથી પરંતુ માત્ર એક ફાર્માસિસ્ટ છે.
નવાઈની વાત એ છે કે, રામગોપાલ અગાઉ વર્ષ 2025માં પણ વરાછાની શિવાય હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાત કરાવતા ઝડપાઈ ચૂક્યો હતો. જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ તેણે જરાય સુધરવાને બદલે મમતા હોસ્પિટલના નામે નવી હાટડી ખોલી દીધી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલની ટીમે જ્યારે હોસ્પિટલના પહેલા અને બીજા માળે ઓચિંતી રેડ પાડી ત્યારે ત્યાં અફરાતફરી મચી ગઈ હતી. તપાસ દરમિયાન સ્થળ પરથી ગેરકાયદે ગર્ભપાત કરાવવા આવેલી ત્રણ સગર્ભા મહિલાઓ મળી આવી હતી.
હોસ્પિટલમાં સફાઈ કામ કરતી મહિલાએ આરોગ્ય વિભાગ સમક્ષ કબૂલાત કરી કે રામગોપાલ ખંડેલવાલ પોતે જ અહીં મહિલાઓના ઓપરેશનો કરતો હતો. દરોડા દરમિયાન સર્જાયેલી અંધાધૂંધીનો લાભ લઈ વ્યારાની એક 24 વર્ષીય સગર્ભા મહિલા ત્યાંથી ભાગી છૂટી હતી, જ્યારે અન્ય બે મહિલાઓને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આરોગ્ય વિભાગે સ્થળ પરથી વાંધાજનક સાધનો અને દવાઓ પણ જપ્ત કરી છે.
આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરતા મમતા હોસ્પિટલને સંપૂર્ણપણે સીલ મારી દીધું છે. વરાછા પોલીસે ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલ વિરુદ્ધ પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ (PC & PNDT Act) હેઠળ ગુનો નોંધી તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ રેકેટમાં મેડિકલ ક્ષેત્રના અન્ય કયા સફેદપોશ લોકો કે ડોક્ટરો સામેલ છે. સુરતમાં ફરી એકવાર 'બેટી બચાવો' અભિયાન વચ્ચે આવા કૃત્યો સામે આવતા તંત્ર દ્વારા કડક હાથે કામ લેવાની ખાતરી આપવામાં આવી છે.