Loading Please Wait !!!
હળવદના સુરવદર ગામમાં ડેન્ગ્યુનો આતંક: એકસાથે 12 લોકો બીમારીની ઝપેટમાં

  • યુવાનો, બાળકો અને વૃદ્ધો તાવથી ફફડ્યા; ગામમાં ઘરે-ઘરે સર્વે અને દવા વિતરણ શરૂ
  • મયુરનગર PHC ની ટીમ દ્વારા ફોગિંગ અને દવાનો છંટકાવ; 9 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ
  • ખાનગી અને સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ; આરોગ્ય તંત્ર દ્વારા સતત મોનિટરિંગ

સિટી ન્યુઝ @ હળવદ/મોરબી

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સુરવદર ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. ગામમાં ડેન્ગ્યુનો પ્રકોપ જોવા મળતા અત્યાર સુધીમાં ૧૨ જેટલા લોકો આ ગંભીર બીમારીની ઝપેટમાં આવી ગયા છે. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. રોગચાળાની ગંભીરતાને જોતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને ગામમાં યુદ્ધના ધોરણે સર્વે તેમજ દવા વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી છે.

સુરવદર ગામમાં છેલ્લા થોડા સમયથી યુવાનો, વૃદ્ધો, મહિલાઓ અને બાળકો સહિત અનેક લોકો તીવ્ર તાવ અને કળતર જેવી બીમારીથી પીડાઈ રહ્યા હતા. શંકાસ્પદ લક્ષણો જણાતા જ્યારે દર્દીઓના લેબોરેટરી રિપોર્ટ કરાવવામાં આવ્યા, ત્યારે મોટાભાગના કેસોમાં ડેન્ગ્યુ હોવાનું નિદાન થયું હતું. કેટલાક પરિવારોમાં તો સ્થિતિ એવી સર્જાઈ હતી કે એકસાથે બેથી ત્રણ સભ્યો બીમાર પડ્યા હતા, જેના કારણે પરિવારોની ચિંતામાં વધારો થયો હતો.

બીમારીના લક્ષણો જણાતા કેટલાક દર્દીઓએ હળવદની સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી હતી, જ્યારે જેમના પ્લેટલેટ્સ કાઉન્ટ ઓછા જણાયા હતા તેવા દર્દીઓએ હળવદ અને મોરબીની ખાનગી હોસ્પિટલોમાં દાખલ થવાની ફરજ પડી હતી. ગામમાં રોગચાળો ફેલાયો હોવાની જાણ થતા જ મયુરનગર પી.એચ.સી. (PHC) ની ટીમ સતર્ક બની હતી અને આરોગ્ય કર્મચારીઓએ ઘરે-ઘરે જઈને બીમાર લોકોનો ડેટા એકત્ર કરવાની સાથે જરૂરી દવાઓનું વિતરણ શરૂ કર્યું હતું.

આ અંગે મયુરનગર પી.એચ.સી.ના મેડિકલ ઓફિસર ડોક્ટર પરેશભાઈ પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે, સુરવદર ગામમાં તેમની ટીમ દ્વારા સતત સર્વેની કામગીરી ચાલી રહી છે. મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા માટે ગામના વિવિધ વિસ્તારોમાં દવા છંટકાવ અને ફોગિંગ પણ કરવામાં આવ્યું છે. રાહતના સમાચાર આપતા તેમણે ઉમેર્યું હતું કે, નોંધાયેલા ૧૨ દર્દીઓમાંથી ૯ લોકો અત્યારે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે, જ્યારે બાકીના ૩ લોકોની સારવાર હાલ ચાલુ છે અને તેમની સ્થિતિ નિયંત્રણમાં છે.

આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામજનોને પાણી ભરાઈ ન રહેવા દેવા અને આસપાસ સફાઈ જાળવવા અપીલ કરવામાં આવી છે. ગામમાં મચ્છરોનું સંવર્ધન અટકાવવા માટે એબેટિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. હળવદ પંથકમાં બદલાતા હવામાનને કારણે વાયરલ તાવની સાથે ડેન્ગ્યુના કેસો પણ વધી રહ્યા છે, ત્યારે આરોગ્ય તંત્ર આગામી દિવસોમાં અન્ય ગામોમાં પણ તકેદારીના પગલાં ભરે તે અત્યંત જરૂરી બન્યું છે. સુરવદરના કિસ્સા બાદ આસપાસના ગામોમાં પણ સાવચેતી વધારવામાં આવી છે.