RBI ગવર્નરે કહ્યું : યુધ્ધથી ભારતમાં મોંઘવારી વધવાનો ખતરો
=> ટ્રમ્પે કહ્યું ઈરાનને કોઈ પણ ભોગે તબાહ કરી નાંખીશું
સિટી ન્યૂઝ@મુંબઇ : આગામી દિવસોમાં સામાન્ય જનતાના ખિસ્સા પર મોંઘવારીનો વધુ એક બોજ પડે તેવી શક્યતા સેવાઈ રહી છે. આ દરમિયાન રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 'જો મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચેનો તણાવ લાંબો સમય ચાલ્યો, તો ભારતે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવો પડી શકે છે.
જો પશ્ચિમ એશિયાનો તણાવ લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો સરકાર વધતી કિંમતોનો અમુક ટકા બોજ ગ્રાહકો પર નાખી શકે છે. વિશ્વના ત્રીજા સૌથી મોટા ક્રૂડ આયાતકાર ભારત પર 'હોર્મુઝ સ્ટ્રેટ'ની આસપાસના તણાવને કારણે ઊર્જા પુરવઠો ખોરવાયો છે. આ એક મહત્ત્વનો શિપિંગ રૂટ છે, જેમાં ખલેલ પડવાથી ભારતની સપ્લાય-ચેઈન પણ ખોરવાઈ છે, જે મોંઘવારી અને દેશના સતત વધી રહેલા ક્રૂડ ઈમ્પોર્ટ બિલની મુશ્કેલીઓને વિકરાળ બનાવી શકે છે.