મહાદેવ એપ સટ્ટાબાજી કેસમાં EDએ ભાજપ નેતાની ધરપકડ કરી: પાર્ટીએ કરી હકાલપટ્ટી
વિકાસ ગર્ગ દિલ્હી ભાજપના આર્થિક સેલના કન્વીનર હતા: ભાજપના વરિષ્ઠ નેતા-ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા નંદ કિશોર ગર્ગના પુત્ર છે
સિટી ન્યૂઝ | નવી દિલ્હી
મહાદેવ એપ કેસમાં ધરપકડ બાદ દિલ્હી ભાજપે વિકાસ ગર્ગને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી એપ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ગર્ગની ધરપકડ થયા બાદ ભારતીય જનતા પાર્ટીના દિલ્હી એકમે આ પગલું ભર્યું હતું. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારે 'Ebix ગ્રુપ' ના ચેરમેન ગર્ગની મહાદેવ સટ્ટાબાજી એપ સાથે જોડાયેલા કરોડો રૂપિયાના કથિત મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં ધરપકડ કરી હતી. નવાઈની વાત એ છે કે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રીની કથિત સંડોવણી મુદ્દે હોહા મચાવનારા ભાજપ નેતાઓ અને ઈલેક્ટ્રોનિક્સ મીડિયા આ બાબતે લગભગ ચૂપ છે. વિકાસે ૨૦૨૪ માં દિલ્હી ભાજપના આર્થિક સેલના કદાવરની ભૂમિકા સંભાળી હતી. પાર્ટીના એક વરિષ્ઠ અધિકારીએ સત્તાવાર રીતે તેમની હકાલપટ્ટીની પુષ્ટિ કરતા કહ્યું કે તેમને તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા છે અને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.
દિલ્હી ભાજપના એક વરિષ્ઠ કાર્યકર્તાએ જણાવ્યું હતું કે, "વિકાસ ગર્ગને દિલ્હી ભાજપના આર્થિક સેલના કન્વીનર પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. પાર્ટીનું તેમનું પ્રાથમિક સભ્યપદ પણ રદ કરવામાં આવ્યું છે." તે દિલ્હી ભાજપના વરિષ્ઠ નેતા અને ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા નંદ કિશોર ગર્ગના પુત્ર છે. ઈડીના જણાવ્યા અનુસાર, મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં છત્તીસગઢના ઘણા વરિષ્ઠ રાજકારણીઓ અને અમલદારો સંડોવાયેલા છે. ગર્ગ આ કેસમાં ધરપકડ કરાયેલ ૧૪મો વ્યક્તિ છે. બુધવારે, છત્તીસગઢની એક ખાસ PMLA કોર્ટે વિકાસ ગર્ગને ૧૦ દિવસની ઈડી કસ્ટડીમાં મોકલ્યા. ઈડીએ દલીલ કરી હતી કે આ કેસમાં સંકળાયેલા નાણાકીય વ્યવહારોને શોધવા માટે કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી છે.
એજન્સીએ કોર્ટેને જાણ કરી હતી કે ગર્ગની ૪૮૦ કરોડની સંપત્તિ પહેલાથી જ જપ્ત કરવામાં આવી છે. એજન્સીએ વધુમાં જણાવ્યું હતું કે ગર્ગ મની લોન્ડરિંગ કેસમાં વોન્ટેડ હતો, જેમાં રાયપુરની એક ખાસ કોર્ટમાં ૭૪ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ઈડીએ કોર્ટને એ પણ જણાવ્યું હતું કે ગર્ગને તપાસમાં જોડાવા માટે સમન્સ મોકલવામાં આવ્યું હતું પરંતુ હાજર રહેવામાં નિષ્ફળ ગયા, જેના કારણે તેમની ધરપકડ કરવામાં આવી. એજન્સીએ જણાવ્યું હતું કે આ કેસ આઠ FIR અને એક ECIR પર આધારિત છે. ED એ સ્પષ્ટ કરી કે વિકાસ ગર્ગનું નામ કોઈપણ FIR માં નથી, છતાં ચાલુ તપાસ માટે કસ્ટડીમાં પૂછપરછ જરૂરી છે. હવે એ જોવાનું રહે છે કે ગર્ગના કેસમાં સચ્ચાઈ બહાર આવે છે કે નહીં.