S-400 મિસાઈલનો મેગા સોદો: ભારત વધુ 5 નવા સ્ક્વોડ્રન ખરીદશે
- 1 લાખ કરોડના સોદા સાથે ભારતની આકાશી સરહદો બનશે અતેદ્ય કિલ્લો
- ઓપરેશન સિંદૂરની સફળતા બાદ વાયુસેનાના કાફલામાં આધુનિક મિસાઈલો વધશે.
- ચીન-પાક સરહદે મજબૂત સુરક્ષા; 400 કિમી દૂરથી જ દુશ્મનને તોડી પાડશે.
સિટી ન્યૂઝ @ નવી દિલ્હી: ભારત પોતાની સરહદોની સુરક્ષાને વધુ લોખંડી બનાવવા માટે રશિયા પાસેથી અત્યંત આધુનિક S-400 મિસાઈલ સિસ્ટમના વધુ 5 નવા સ્ક્વોડ્રન ખરીદવાની તૈયારી કરી રહ્યું છે. આશરે 1 લાખ કરોડ રૂપિયાના આ મેગા સોદા બાદ ભારતની એર ડિફેન્સ સિસ્ટમ દુનિયાની સૌથી શક્તિશાળી સિસ્ટમમાંની એક બની જશે. ઉલ્લેખનીય છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન S-400 સિસ્ટમે પાકિસ્તાની સીમામાં ઘૂસીને જે પરાક્રમ કર્યું હતું, તે બાદ વાયુસેનાની જરૂરિયાતને ધ્યાને રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
નવા સોદા મુજબ, પ્રત્યેક સ્ક્વોડ્રનમાં 8 લોન્ચર હશે અને દરેક લોન્ચરમાં 4 મિસાઈલ કન્ટેનર હશે, જેનો અર્થ છે કે વાયુસેનાને આશરે 32 મોટી મિસાઈલો પ્રાપ્ત થશે. વર્ષ 2018માં થયેલા પ્રથમ સોદા હેઠળ ભારતને 5 માંથી 3 સિસ્ટમ મળી ચૂકી છે, જે હાલ પંજાબ, સિક્કિમ અને પશ્ચિમી સરહદો પર તહેનાત છે. રશિયાએ ખાતરી આપી છે કે યુદ્ધને કારણે અટકેલી બાકીની બે સિસ્ટમ પણ આગામી 6 મહિનામાં ભારતને સોંપી દેવામાં આવશે, ત્યારબાદ નવા સોદાની ડિલિવરી શરૂ થશે.
S-400 સિસ્ટમની સૌથી મોટી ખાસિયત તેની ડબલ એટેક ક્ષમતા છે. તે 400 કિલોમીટર દૂર રહેલા દુશ્મન વિમાન કે ડ્રોનને ધ્વનિની ગતિથી 14 ગણી ઝડપે તોડી પાડી શકે છે. એટલું જ નહીં, તે દુશ્મન તરફથી આવતી બેલિસ્ટિક મિસાઈલોને 4.8 કિમી પ્રતિ સેકન્ડની ઝડપે હવામાં જ નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. આ સિસ્ટમ મોબાઈલ હોવાથી તેને રસ્તા માર્ગે સરહદના કોઈ પણ છેડે સરળતાથી લઈ જઈ શકાય છે અને માત્ર 5 થી 10 મિનિટમાં ઓપરેશન માટે સજ્જ કરી શકાય છે.
નિવૃત્ત એર વાઇસ માર્શલ સંજય ભટનાગરના જણાવ્યા મુજબ, પાકિસ્તાને 7-8 May 2025 ની મધરાતે કરેલા 800 ડ્રોન હુમલા બાદ ડ્રોન કાઉન્ટર સિસ્ટમ પર ધ્યાન કેન્દ્રિત કરવું અનિવાર્ય બન્યું હતું. ચીન પાસે હાલમાં 480 સર્વેલન્સ સેટેલાઈટ છે, જેની સામે ભારત પણ હવે 52 સેટેલાઈટની નવી સિસ્ટમ તૈયાર કરી રહ્યું છે. ભારતની આ રક્ષા તૈયારીઓમાં DRDO નો 'પ્રોજેક્ટ કુશા' પણ મહત્વનો છે, જે અંતર્ગત S-400 જેવી જ ઇન્ટરસેપ્ટર મિસાઈલો સ્વદેશી રીતે વિકસાવવામાં આવી રહી છે.
S-400 મિસાઈલ સિસ્ટમ એક સમયે 160 થી વધુ ઓબ્જેક્ટ્સને ટ્રેક કરી શકે છે, જે તેને દુનિયાની સૌથી ભરોસાપાત્ર રક્ષા ઢાલ બનાવે છે. ભારતે જે રીતે પંજાબ અને સિક્કિમ સરહદે આ સિસ્ટમ તહેનાત કરી છે, તેનાથી ચિકન નેક કોરિડોર અને પશ્ચિમી સરહદો સુરક્ષિત બની છે. આ નવા સોદા બાદ ભારતીય વાયુસેનાની ક્ષમતા અનેકગણી વધી જશે, જે આધુનિક યુદ્ધના સંજોગોમાં ભારતને કોઈ પણ દેશ સામે મજબૂત પક્ષે રાખશે. રશિયન રાષ્ટ્રપતિ પુતિનની આગામી મુલાકાત દરમિયાન આ સોદા પર અંતિમ મહોર લાગવાની શક્યતા છે.