ધીરેન્દ્ર શાસ્ત્રી ખોટા;દિવ્ય શક્તિ નહીં છેતરપિંડી ?
=> અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના ચોંકાવનારા આરોપ
=> અખિલ ભારતીય અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ
=> સાબિત કરો નહીં તો પર્દાફાશ
=> બાબા પર પ્રેશર: `પરીક્ષા આપો'ની માંગ ઉગ્ર
સિટી ન્યૂઝ@નવી દિલ્હી : બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના 'દિવ્ય દરબાર' અને તેમના દ્વારા કરવામાં આવતા ચમત્કારિક દાવાઓને લઈને ફરી એકવાર વિવાદ ગરમાયો છે. અખિલ ભારતીય અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિએ બાબાના ચમત્કારોને ખુલ્લો પડકાર ફેંકતા હવે ઇનામની રકમ ૩૦ લાખથી વધારીને સીધી ૮૦ લાખ રૂપિયા કરી દીધી છે. સમિતિના અધ્યક્ષ શ્યામ માનવે આરોપ લગાવ્યો છે કે બાબા સતત બીજી વાર પડકાર સ્વીકારવામાં નિષ્ફળ રહ્યા છે અને મેદાન છોડીને ભાગી ગયા છે.
સમિતિએ આ વખતે મુકાબલો બાબાના દરબારમાં નહીં, પરંતુ નાગપુરના 'પત્રકાર ભવન'માં વિજ્ઞાનની શરતો મુજબ યોજવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ પડકાર માટે કેટલીક ખાસ શરતો નક્કી કરવામાં આવી છે:બાબા સામે ૧૦ અજાણ્યા વ્યક્તિઓને લાવવામાં આવશે, જેમનું નામ, પિતાનું નામ, અટક અને મોબાઈલ નંબર બાબાએ પોતાની 'દિવ્ય દૃષ્ટિ'થી જણાવવાનો રહેશે.આ પરીક્ષણમાં ૯૦ ટકા પરિણામ સાચું હોવું જોઈએ. જો બાબા પ્રથમ પ્રયાસમાં સફળ થાય, તો ૫ દિવસ પછી ફરીથી નવા લોકો સાથે આ પ્રક્રિયા દોહરાવવામાં આવશે. એક પંચ કમિટીની હાજરીમાં આ પ્રક્રિયા થશે અને પરીક્ષણ દરમિયાન બાબા તથા ત્યાં હાજર તમામ લોકોના મોબાઈલ ફોન સીલ કરી દેવામાં આવશે જેથી કોઈ ટેકનિકલ છેતરપિંડી ન થઈ શકે.
શ્યામ માનવે બાબાના દાવાઓની સરખામણી એરપોર્ટ પરની 'ફેશિયલ રેકગ્નિશન' ટેકનિક સાથે કરતા જણાવ્યું હતું કે, બાબા પોતાના દરબારમાં પોતાના જ માણસો ઊભા રાખીને અગાઉથી માહિતી મેળવી લે છે. તેમણે આકરા શબ્દોમાં કહ્યું કે જો ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાની શક્તિ સાબિત કરી દેશે, તો તેઓ પોતાની સંસ્થા કાયમ માટે બંધ કરી દેશે અને બાબાના ભક્ત બની જશે. સમિતિનું માનવું છે કે બાબાને ખબર છે કે નિષ્પક્ષ મેદાન પર તેમની 'બાબાગીરી'નો પર્દાફાશ થઈ જશે, તેથી તેઓ ડરીને ભાગી રહ્યા છે.
બીજી તરફ, ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ આ પડકારનો જવાબ આપતા સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈ જાદુગર નથી, પરંતુ હનુમાનજીના પરમ ભક્ત છે. તેમણે કહ્યું કે, "જેને પણ કોઈ સમસ્યા કે શંકા હોય તેણે મારા દરબારમાં આવવું જોઈએ. ઈશ્વર જેવી પ્રેરણા આપશે તે મુજબ અમે માર્ગદર્શન કરીશું." બાબાએ વિરોધીઓને આડકતરો જવાબ આપતા કહ્યું હતું કે જો કોઈને 'ખુજલી' (સમસ્યા) હોય તો તે ખુલ્લા દરબારમાં આવીને પરીક્ષા લઈ શકે છે. હાલમાં આ 'વિજ્ઞાન વિરુદ્ધ શ્રદ્ધા'નો જંગ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. હવે જોવાનું એ રહેશે કે શું ધીરેન્દ્ર શાસ્ત્રી નાગપુરના પત્રકાર ભવનમાં જઈને આ ૮૦ લાખનો પડકાર સ્વીકારે છે કે પછી આ વિવાદ ફરી એકવાર માત્ર આરોપ-પ્રત્યારોપમાં જ સીમિત રહી જાય છે.