હવે બંગાળનાં દિલમાં ભાજપ : ભાજપના પહેલા CM બન્યા સુવેન્દુ
- દિલીપ ઘોષ સહિત 5 મંત્રી બન્યા
- બંગાળમાં 98 વર્ષના વૃદ્ધને પગે લાગ્યા
સિટી ન્યૂઝ@કોલકાત્તા : સુવેન્દુ અધિકારી શનિવારે પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના પ્રથમ મુખ્યમંત્રી બન્યા છે. તેમના સિવાય દિલીપ ઘોષ, અગ્નિમિત્રા પોલ, અશોક કીર્તનીયા, ખુદીરામ ટુડૂ અને નિશિથ પ્રમાણિકે પણ મંત્રી પદના શપથ લીધા.
સુવેન્દુએ બંગાળીમાં ઈશ્વરના નામે શપથ લીધા. શપથ લીધા પછી, સુવેન્દુ પીએમ પાસે ગયા અને તેમને નમીને પ્રણામ કર્યા. બંગાળના રાજ્યપાલ આર.એન. રવિએ સુવેન્દુ ઉપરાંત અન્ય 5 ધારાસભ્યોને મંત્રી પદના શપથ લેવડાવ્યા. આમાં દિલીપ ઘોષ, અગ્નિમિત્રા પોલ, અશોક કીર્તનીયા, ખુદીરામ ટુડુ અને નિશિથ પ્રમાણિકના નામનો સમાવેશ થાય છે. આ શપથવિધિમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, એનડીએ અને ભાજપ શાસિત રાજ્યોના 20 મુખ્યમંત્રીઓ હાજર રહ્યા. કાર્યક્રમમાં સૌથી પહેલા મોદીએ મંચ પર રવીન્દ્રનાથ ટાગોરને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. પીએમએ મંચ પર ભાજપના 98 વર્ષીય કાર્યકર્તા માખનલાલ સરકારનું સન્માન કર્યું. મંચ પર આવતા જ વડાપ્રધાન સીધા સરકાર પાસે ગયા, તેમને શાલ ઓઢાડી અને પછી તેમના ચરણ સ્પર્શ કર્યા.
પશ્ચિમ બંગાળના કોલકાતામાં બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે, આજે મુખ્ય પ્રધાનની શપથ ગ્રહણ સમારોહ માટે પીએમ મોદી સહિત અનેક રાજ્યોના મુખ્યપ્રધાનો ઉપસ્થિત રહ્યાં હતા. આ ભવ્ય રાજકીય સમારોહની વચ્ચે, પીએમ મોદીએ સ્ટેજ પર એક વૃદ્ધ વ્યક્તિના પગ સ્પર્શ કર્યા. તેમને શાલ ઓઢાડી બહુમાન કરવાની સાથે અને આદરપૂર્વક તેમને સસ્મિત ભેટીને અભિવાદન કર્યું. આ તસવીર જોઈને, દરેકના મનમાં એક પ્રશ્ન ઉભો થાય તે સ્વાભાવિક છે કે, આ વૃદ્ધ વ્યક્તિ કોણ છે, જેના પગે પીએમ મોદી પડ્યા. એટલુ જ નહીં પગે લાગીને તેમના આશીર્વાદ મેળવ્યાં ? આ સજ્જન પશ્ચિમ બંગાળના સૌથી વરિષ્ઠ ભાજપ કાર્યકરોમાંના એક છે. તેમનું નામ માખનલાલ સરકાર છે, અને તેઓની ઉમર આશરે 98 વર્ષની છે. માખનલાલ સરકાર સ્વતંત્રતા પછીના ભારતમાં રાષ્ટ્રવાદી ચળવળ સાથે સંકળાયેલા શરૂઆતના પાયાના નેતાઓમાંના એક છે. 1052માં, કાશ્મીરમાં ભારતીય ત્રિરંગો ફરકાવવાના આંદોલન દરમિયાન તેમની શ્યામા પ્રસાદ મુખર્જી સાથે ધરપકડ કરવામાં આવી હતી. 1980માં ભાજપની સ્થાપના થયા પછી, તેઓ પશ્ચિમ દિનાજપુર, જલપાઈગુડી અને દાર્જિલિંગ જિલ્લાઓના સંગઠનાત્મક સંયોજક બન્યા.
મોદીએ બંગાળની જનતાને નમન કર્યા
સમારોહના અંતિમ ક્ષણોમાં એક ભાવુક દૃશ્ય સર્જાયું હતું, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંચ પરથી પરેડ ગ્રાઉન્ડમાં ઉપસ્થિત જનસમુદાયનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન સતત મળેલા જનસમર્થન અને ઉત્સાહથી અભિભૂત થયેલા પીએમ મોદીએ વિશેષ રીતે લોકો પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમ પૂર્ણ થવા આવ્યો ત્યારે પીએમ મોદી મંચ પર ઘૂંટણિયે બેઠા અને બંને હાથ જોડીને જનતાને પ્રણામ કર્યા હતા. આ ક્ષણને ત્યાં હાજર લોકોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી. પીએમ મોદીના આ વિનમ્ર અભિવાદનને કારણે સમગ્ર માહોલ ભાવનાત્મક બની ગયો હતો.