'કોકરોચ' આંદોલનને ચૂંટણી રાજકારણથી આગળ લઈ જઈશું
-
માત્ર ચૂંટણી લડવાનો નહીં પરંતુ મોટો બદલાવ લાવવાનો ઉદ્દેશ્ય
-
સોશિયલ મીડિયા પર કટાક્ષથી શરૂ થઈ હતી પાર્ટીની સફર
-
'દેશ માટે ખતરો' જેવા ટેગ મળ્યા હોવાનો કર્યો ખુલાસો
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
કોકરોચ જનતા પાર્ટીના નેતા અભિજિત દીપકેએ જણાવ્યું છે કે તેમની પાર્ટીનો ઉદ્દેશ્ય માત્ર ચૂંટણી લડવાનો નથી, પરંતુ ચૂંટણી રાજકારણથી પણ આગળ વધીને દેશમાં એક મોટો બદલાવ લાવવાનો છે. અમેરિકાથી ભારત પરત ફરીને તેમણે 'નીટ' પેપર લીક અને 'સ્કૂલ ઠીક કરો' જેવા મહત્વના અભિયાનોનું નેતૃત્વ કર્યું છે. પરિવાર અને વકીલની ના પાડા છતાં 'એન્ટી નેશનલ' જેવા ટેગ મળ્યા બાદ તેમણે સ્વદેશ પરત ફરવાનો મક્કમ નિર્ણય કર્યો હતો.
ગયા વર્ષે મે મહિનામાં દેશના ચીફ જસ્ટિસની એક ટિપ્પણી બાદ ૩૦ વર્ષીય અભિજિત દીપકેએ સોશિયલ મીડિયા પર કટાક્ષ તરીકે 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ની સ્થાપના કરી હતી. ટૂંક સમયમાં જ આ આંદોલન સાથે લાખો લોકો જોડાઈ ગયા હતા અને ત્યારબાદ દિલ્હીના જંતર-મંતર પર નીટ પેપર લીક વિરુદ્ધ થયેલા પ્રદર્શનોની આગેવાની પણ તેમણે સંભાળી હતી. સરકાર દ્વારા તેમને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવવા અંગે તેમણે દુઃખ વ્યક્ત કર્યું હતું પરંતુ દેશ પ્રત્યેના પોતાના પ્રેમ અને જવાબદારીને કારણે તેઓ પરત ફર્યા હતા.
પેપર લીક વિરુદ્ધના આંદોલનની સફળતા બાદ હવે કોકરોચ પાર્ટીએ દેશની સરકારી શાળાઓની દયનીય હાલત સુધારવા માટે 'સ્કૂલ ઠીક કરો' અભિયાન શરૂ કર્યું છે. અભિજિત દીપકેએ સ્પષ્ટ કર્યું છે કે લોકોએ રાજકારણને માત્ર ચૂંટણી પૂરતું મર્યાદિત કરી દીધું છે, પરંતુ તેમની પાર્ટી સામાન્ય લોકોને પોતાના અધિકારો માટે જાગૃત કરવા અને સત્તાની જવાબદારી નક્કી કરવા માટે કામ કરતી રહેશે.
સામાજિક બદલાવનો નવો અભિગમ
અભિજિત દીપકે અને તેમની કોકરોચ જનતા પાર્ટીએ પરંપરાગત રાજકારણથી હટીને જમીની સ્તરે સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું છે. શિક્ષણ ક્ષેત્રની ખરાબ હાલત અને પેપર લીક જેવા મુદ્દાઓ પર યુવાનોને એકાંતરે લાવીને આંદોલનને વ્યાપક સ્વરૂપ આપવાનો તેમનો પ્રયાસ ભવિષ્યના રાજકારણ માટે એક મોટો સંકેત ગણી શકાય.