Loading Please Wait !!!
રાજકારણમાં કુંવારા નેતાઓ સુપર હિટ !

  • કુટુંબ વગરનો ફાયદો સંપૂર્ણ ફોકસ રાજકારણ પર, પ્રજાની સેવા ફર્સ્ટ, સ્વાર્થ ઓછો, સમર્પણ વધુ, વંશવાદથી દૂર નેતૃત્વ
  • રાજકારણમાં નવો ટ્રેન્ડ; કુંવારા નેતાઓ બની રહ્યા છે લોકોની પહેલી પસંદ

સિટી ન્યૂઝ@નવીદિલ્હી : ભારતીય રાજકારણમાં કુંવારા નેતાઓની લોકપ્રિયતા હંમેશા ચર્ચાનો વિષય રહી છે. હવે પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી તરીકે સુવેન્દુ અધિકારીના નામની ચર્ચા સાથે ફરી એકવાર બેચલર નેતાઓ અંગે રાજકીય ચર્ચાઓ તેજ બની છે.દેશના રાજકારણમાં એવા અનેક નેતાઓ રહ્યા છે જેમણે લગ્ન કર્યા વગર આખું જીવન જાહેર જીવન અને રાજકારણને સમર્પિત કર્યું.આ યાદીમાં યોગી આદિત્યનાથ, મમતા બેનરજી, માયાવતી, અટલ બિહારી વાજપેયી, નવીન પટ્ટનાયક અને ડો. એપીજે અબ્દુલ કલામ જેવા મોટા નામો સામેલ છે. રાજકીય વિશ્લેષકો માને છે કે સામાન્ય લોકો કુંવારા નેતાઓને વધુ નિષ્પક્ષ અને પરિવારવાદથી દૂર માનતા હોય છે. કારણ કે આવા નેતાઓ પર ભાઈ-ભત્રીજાવાદ અથવા પરિવારને ફાયદો પહોંચાડવાના આરોપો ઓછા લાગતા હોય છે.ભાજપના દિગ્ગજ નેતા અટલ બિહારી વાજપેયી જાહેર મંચો પર ઘણીવાર કહેતા કે તેમનો કોઈ પરિવાર નથી, તેથી પરિવારવાદનો સવાલ જ ઉભો થતો નથી. બીજી તરફ માયાવતી પણ પોતાની સભાઓમાં કહેતા હતા કે લગ્ન ન કર્યા હોવાથી તેઓ સંપૂર્ણ સમય જનસેવામાં આપી શકે છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ અનેક વખત પોતાના લગ્ન અંગે પૂછાયેલા સવાલો પર કહી ચૂક્યા છે કે તેઓ હાલમાં જાહેર જીવન અને રાજકારણ પર ફોકસ કરી રહ્યા છે.દેશના સૌથી લોકપ્રિય કુંવારા ચહેરાઓમાં ડો. એપીજે અબ્દુલ કલામનું નામ પણ અગત્યનું છે. "મિસાઇલ મેન" તરીકે ઓળખાતા કલામ સાહેબે પોતાનું આખું જીવન વિજ્ઞાન અને દેશસેવામાં સમર્પિત કર્યું હતું. ભારતીય મતદાતાઓમાં એવી માન્યતા જોવા મળે છે કે પરિવારની જવાબદારીઓથી મુક્ત નેતાઓ વધુ સમય અને ધ્યાન જનતાની સેવા માટે આપી શકે છે. જોકે, રાજકારણમાં સફળતા માત્ર વૈવાહિક સ્થિતિ પર આધારિત નથી, પરંતુ નેતૃત્વ, કાર્યશૈલી અને વિશ્વાસ પણ એટલા જ મહત્વના છે.