ઉત્તરાખંડના પૌડીમાં ભારે ભૂસ્ખલન: 25 દુકાનો પર જોખમ, મકાનો-બજારોમાં તિરાડો પડી
-
ઉત્તરાખંડના પાબૌ બજારમાં ભૂસ્ખલનને પગલે 6 દુકાનો ખાલી કરાવાઈ, અન્ય 25 પર ખતરો
-
મધ્યપ્રદેશમાં ચોમાસાએ લીધો વિરામ, 12 સપ્ટેમ્બરથી બંગાળની ખાડીનું લો પ્રેશર સક્રિય થશે
-
લખીમપુર-બરેલીમાં ધોરણ 8 સુધી અને વારાણસીમાં ધોરણ 5 સુધી શાળાઓ બંધ રાખવા આદેશ
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાં કુદરતી આફતો અને ભારે વરસાદનો કહેર યથાવત રહ્યો છે. ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લામાં આવેલા પાબૌ બજારમાં ભીષણ ભૂસ્ખલનની ઘટના સામે આવી છે. લેન્ડસ્લાઇડને કારણે સ્થાનિક બજારની 6 દુકાનોને તત્કાળ અસરથી ખાલી કરાવવી પડી છે, જ્યારે અન્ય 25થી વધુ દુકાનો અને મકાનો પર ધરાશાયી થવાનું ગંભીર જોખમ તોળાઈ રહ્યું છે. જમીન ધસી પડવાના કારણે અનેક રહેણાંક મકાનો અને વ્યાપારિક સંકુલોમાં મોટી તિરાડો પડી ગઈ છે. હવામાન વિભાગે પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાને જોતાં યલો એલર્ટ જારી કર્યું છે.
ઉત્તર પ્રદેશમાં પણ મોસમે આક્રમક મિજાજ દર્શાવ્યો છે. હવામાન વિભાગે વારાણસી અને પ્રયાગરાજ સહિત રાજ્યના 23 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. સતત વરસાદ અને જળબંબાકારની સ્થિતિને પગલે લખીમપુર ખીરી અને બરેલીમાં ધોરણ 8 સુધીની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. વારાણસીમાં પ્રી-પ્રાયમરીથી ધોરણ 5 સુધીની શાળાઓ સંપૂર્ણ બંધ રાખવામાં આવી છે, જ્યારે ધોરણ 6 થી 12 ના વર્ગો સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી મર્યાદિત સમય માટે ચલાવવાનો આદેશ કરાયો છે.
બીજી તરફ, બિહારમાં પૂરની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ગંગા, ગંડક અને કોસી સહિતની 8 મોટી નદીઓ ભયજનક સપાટી વટાવીને ગાંડીતૂર બની વહી રહી છે. રાજ્યના 14 જિલ્લાઓ પૂરના પાણીમાં ગરકાવ થઈ જતાં આશરે 35.89 લાખ લોકો ગંભીર રીતે પ્રભાવિત થયા છે. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકો સલામત સ્થળે સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે.
આ દરમિયાન મધ્યપ્રદેશમાં ચોમાસાએ 3 દિવસનો વિરામ લીધો છે. હવામાન કેન્દ્ર ભોપાલના જણાવ્યા મુજબ, 11 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નથી. જોકે, બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલા નવા લો પ્રેશર એરિયાની અસર 12 સપ્ટેમ્બરથી ફરી જોવા મળશે, જેના કારણે મધ્ય ભારતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે.
પૌડીમાં ભૂસ્ખલન, યુપી-બિહારમાં વરસાદી આફત
ઉત્તરાખંડના પૌડીમાં ભારે ભૂસ્ખલનને પગલે પાબૌ બજારની દુકાનોમાં તિરાડો પડતાં 25થી વધુ દુકાનો જોખમમાં આવી છે. યુપીમાં વરસાદના કારણે લખીમપુર, બરેલી અને વારાણસીમાં શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. બિહારમાં ગંગા સહિતની નદીઓમાં પૂર આવતાં 14 જિલ્લાના આશરે 36 લાખ લોકો પ્રભાવિત થયા છે, જ્યારે એમપીમાં 12 સપ્ટેમ્બરથી વરસાદનો નવો દોર શરૂ થવાની શક્યતા છે.