Loading Please Wait !!!
રેલવે ટિકિટિંગમાં મોટો ટેકનિકલ ફેરફાર: મિનિટમાં 2.50 લાખ ટિકિટ બુક થશે

  • ટિકિટ કેન્સલ થતા જ તુરંત મળશે રિફંડ; AI ની મદદથી વેઈટિંગ કન્ફર્મ થવાનું સચોટ અનુમાન.
  • એકસાથે 4 લાખ યુઝર્સ લોગ-ઈન કરી શકશે; રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપ્યા મહત્વના નિર્દેશ.
  • 1986 થી ચાલતી સિસ્ટમમાં આખરે આમૂલ પરિવર્તન; 88% ઓનલાઈન યુઝર્સને થશે સીધો ફાયદો.

સિટી ન્યુઝ @ નવી દિલ્હી : ભારતીય રેલવે પોતાના કરોડો યાત્રીઓની સુવિધામાં વધારો કરવા માટે ટિકિટિંગ વ્યવસ્થામાં ઐતિહાસિક ફેરફાર કરવા જઈ રહી છે. રેલવે મંત્રાલય આગામી ઓગસ્ટ મહિનાથી છેલ્લા 40 વર્ષથી કાર્યરત 'પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ' (PRS) ને નવી અને અત્યાધુનિક સિસ્ટમમાં શિફ્ટ કરશે. આ પરિવર્તનનો મુખ્ય હેતુ ટિકિટ બુકિંગને ઝડપી બનાવવાનો અને કેન્સલેશન બાદ રિફંડની પ્રક્રિયાને ગતિ આપવાનો છે.

વર્ષ 1986 માં શરૂ થયેલી જૂની PRS સિસ્ટમમાં સમય જતાં અનેક ફેરફારો થયા હતા, જેમાં 2002 માં ઈન્ટરનેટ બુકિંગની શરૂઆત સૌથી મહત્વની હતી. જોકે, વધતા જતા ભારણને કારણે હવે તેમાં આમૂલ પરિવર્તન અનિવાર્ય બન્યું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અધિકારીઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે આ ટેકનિકલ ટ્રાન્સફોર્મેશન દરમિયાન મુસાફરોને કોઈ પરેશાની ન થવી જોઈએ અને તમામ સેવાઓ અવરોધ વિના ચાલુ રહેવી જોઈએ.

નવી સિસ્ટમની સૌથી મોટી વિશેષતા તેની ઝડપ અને ક્ષમતા છે. હવે પ્રતિ મિનિટ 2.50 લાખ ટિકિટ બુક કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જ્યારે એક સાથે 4 લાખથી વધુ યુઝર્સ કોઈપણ અવરોધ વગર વેબસાઈટ પર લોગ-ઈન કરી શકશે. આ ઉપરાંત, 'વર્ચ્યુઅલ સ્ટેશન્સ' ના કોન્સેપ્ટ દ્વારા એવા નાના સ્ટેશનો વચ્ચે પણ ટિકિટ બુકિંગ સરળ બનશે જ્યાં ટ્રેન ઊભી તો રહે છે પણ ટેકનિકલ મર્યાદાઓને કારણે અત્યાર સુધી ટિકિટ મળી શકતી નહોતી.

આધુનિક ટેકનોલોજીના ઉપયોગ અંગે વાત કરીએ તો, નવી સિસ્ટમમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડેટા એનાલિટિક્સનો ભરપૂર ઉપયોગ થશે. તેનાથી મુસાફરોને તેમનું વેઈટિંગ લિસ્ટ કન્ફર્મ થવાના ચાન્સ કેટલા છે તેની સચોટ જાણકારી મળશે. સાથે જ, કયા રૂટ પર મુસાફરોનો ધસારો વધુ છે તેનો ડેટા એનાલિટિક્સ દ્વારા રેલવેને મળશે, જેના આધારે જે-તે રૂટ પર તુરંત સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લઈ શકાશે.

રિફંડની પ્રક્રિયામાં પણ મોટો સુધારો જોવા મળશે. અત્યારે ટિકિટ કેન્સલ કરાવ્યા બાદ રિફંડ આવવામાં 2 થી 7 દિવસનો સમય લાગે છે, જે નવી સિસ્ટમમાં પેમેન્ટ ગેટવે સાથેના બહેતર તાલમેલને કારણે ટિકિટ કેન્સલ થતાની સાથે જ શરૂ થઈ જશે. હાલમાં દેશમાં 88 ટકા ટિકિટો ઓનલાઈન બુક થાય છે, ત્યારે આ નવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડિજિટલ ઈન્ડિયાના વિઝનને વધુ મજબૂત બનાવશે અને રેલવે મુસાફરીને વધુ હાઈ-ટેક અને સરળ બનાવશે.