તિરંગા યાત્રા બાદ મંડપની ખીલીઓ રોડ પર અનેક વાહનમાં પંક્ચર પડ્યા
- રાજકોટના બહુમાળી ચોકમાં ચારે બાજુ ખીલીઓ જ
- RMCએ આ મામલે જવાબદાર એજન્સી સામે કાર્યવાહી કરવી જોઈએ જેથી બીજીવાર આવી ભૂલ ન કરે
સિટી ન્યૂઝ @ રાજકોટ
રાજકોટમાં તિરંગા યાત્રા સામગ્રી હટાવ્યા બાદ સફાઈ અને વ્યવસ્થા જાળવવામાં બેદરકારી દાખવા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. શહેરના બહુમાળી ચોક વિસ્તારમાં રસ્તા પર ખીલીઓ જોવા મળતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, રસ્તા પર પડેલી ખીલીઓના કારણે વાહનોના ટાયરમાં પંક્ચર થવાની ઘટનાઓ પણ બની રહી છે. વ્યસ્ત માર્ગ પર આ પ્રકારની બેદરકારીને કારણે વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે અને અકસ્માતનો ભય પણ ઊભો થયો છે. તિરંગા યાત્રા માટે ઉભા કરાયેલા મંડપ સહિતની સામગ્રી હટાવ્યા બાદ સ્થળની યોગ્ય રીતે સફાઈ કરવામાં આવી હતી કે નહીં તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. જો રસ્તા પર ખીલીઓ કે અન્ય સામગ્રી રહી ગઈ હોય તો જવાબદાર એજન્સી સામે કાર્યવાહી કરવાની માગ ઉઠી છે. હવે સવાલ એ છે કે રાજકોટ મહાનગરપાલિકા તંત્ર આ મામલે જવાબદાર એજન્સી સામે કાર્યવાહી કરશે કે પછી વાહનચાલકોની મુશ્કેલી યથાવત્ રહેશે.