હનુમાનજીની મૂર્તિ પર કોઈનો માલિકીનો હક નથી : સંત સમાજ
સાળંગપુર હનુમાનજી મૂર્તિના કોપીરાઇટ વિવાદે પકડ્યો વેગ
-
દેવી-દેવતાઓના સ્વરૂપ અને નામ પર કોઈ વ્યક્તિ સંસ્થા કે સંપ્રદાય વિશેષનો અધિકાર હોઈ શકે નહીં
-
સનાતન ધર્મના આરાધ્ય દેવી દેવતાઓને કોઈ સંસ્થા કે સંપ્રદાયની માલિકી તરીકે રજૂ કરવાનો પ્રયાસ યોગ્ય નથી : જ્યોતિનાથ મહારાજ
સિટી ન્યૂઝ@રાજકોટ
બોટાદ જિલ્લાના પ્રસિદ્ધ સાળંગપુર ધામમાં સ્થાપિત ૫૪ ફૂટ ઊંચી હનુમાનજીની ભવ્ય પ્રતિમા 'કિંગ ઓફ સાળંગપુર' ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. અગાઉ ભીંતચિત્રોને લઈને ચર્ચામાં રહેલી આ પ્રતિમા હવે ટ્રેડમાર્ક અને કોપીરાઇટ (Salangpur Hanumanji Controversy) મુદ્દે સાધુ-સંતો અને ધાર્મિક આગેવાનોના વિરોધનો સામનો કરી રહી છે.
મૂર્તિ અને તેના નામ સાથે સંકળાયેલા કાનૂની હકો અંગે લેવાયેલા નિર્ણયોને લઈને ગુજરાતભરના અનેક સંતો અને અખાડાઓએ ખુલ્લો વિરોધ નોંધાવ્યો છે. તેમનું માનવું છે કે દેવી-દેવતાઓના સ્વરૂપ અને નામ પર કોઈ વ્યક્તિ, સંસ્થા કે સંપ્રદાય વિશેષનો અધિકાર હોઈ શકે નહીં.
મહામંડલેશ્વર અખિલેશ્વર દાસજીએ આ મુદ્દે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે ભગવાન અને દેવી-દેવતાઓ સમગ્ર સૃષ્ટિના છે. તેમના દિવ્ય સ્વરૂપ પર કોઈ પ્રકારનો કોપીરાઇટ અથવા વિશેષ અધિકાર લાગુ પડી શકે નહીં. તેમણે ભારપૂર્વક કહ્યું કે આસ્થા અને ભક્તિ સાથે જોડાયેલા પ્રતિકોને કાનૂની માલિકીના દાયરામાં જોવું યોગ્ય નથી.
રાજકોટના ધાર્મિક આગેવાન બાબા જ્યોતિનાથ મહારાજે પણ આ મુદ્દે કડક વલણ અપનાવ્યું છે. તેમના મતે સનાતન ધર્મના આરાધ્ય દેવતાઓને કોઈ સંસ્થા કે સંપ્રદાયની માલિકી તરીકે રજૂ કરવાનો પ્રયાસ યોગ્ય નથી. તેમણે જણાવ્યું કે આવા નિર્ણયો સનાતન પરંપરાની ભાવનાઓને ઠેસ પહોંચાડી શકે છે.
જૂનાગઢ સ્થિત ખાખીમઢી આશ્રમના મહંત સુખરામદાસ બાપુએ પણ આ મુદ્દે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ભગવાનના સ્વરૂપને કોપીરાઇટ સાથે જોડવાની વિચારધારા ધાર્મિક પરંપરાઓ અને આસ્થાની ભાવનાઓને અનુકૂળ નથી.
ગુજરાતના અનેક સાધુ-સંતો અને ધાર્મિક આગેવાનોની માંગ છે કે મૂર્તિ અને તેના નામને લઈને લેવામાં આવેલા કાનૂની નિર્ણયો અંગે સ્પષ્ટતા કરવામાં આવે અને વિવાદાસ્પદ પગલાં પર પુનર્વિચાર કરવામાં આવે. સંત સમાજે ચેતવણી આપી છે કે જો તેમની લાગણીઓને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર વિરોધ કાર્યક્રમો પણ જાહેર થઈ શકે છે.
સાળંગપુર ધામ દેશભરમાં લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. તેથી આ મુદ્દો માત્ર કાનૂની જ નહીં પરંતુ ધાર્મિક અને સામાજિક ચર્ચાનો વિષય પણ બની ગયો છે. હવે આગામી દિવસોમાં મંદિર પ્રશાસન, સંત સમાજ અને સંબંધિત પક્ષો તરફથી શું પગલાં લેવાય છે તેના પર સૌની નજર છે.