મુંબઈ-હૈદરાબાદની ફ્લાઈટ રોજના બદલે એકાંતરા કરી
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી હવાઈ મુસાફરી કરતા પ્રવાસીઓ માટે માઠા સમાચાર છે. વૈશ્વિક યુદ્ધની અસરોને કારણે એર ફ્યુઅલ (વિમાની ઈંધણ)મોંઘું થવા લાગ્યું છે, જેના કારણે એરલાઈન્સ કંપનીઓ મુશ્કેલીમાં મુકાઈ છે. બીજી તરફ, ઉનાળુ વેકેશન પૂરું થતાં જ હવાઈ ટ્રાફિકમાં મોટો ઘટાડો નોંધાયો છે. આ સ્થિતિને પહોંચી વળવા એરલાઈન્સ કંપનીઓએ પોતાની ડોમેસ્ટિક સેવાઓમાં કાપ મૂકી અનેક વિમાનો ગ્રાઉન્ડેડ કરી દીધા છે.
જેના ભાગરૂપે ઈન્ડિગો એરલાઈન્સે રાજકોટથી ઉપડતી સવારની નવી મુંબઈ અને રાતની હૈદરાબાદની ડેઈલી ફ્લાઈટને હવે દરરોજના બદલે એકાંતરા ઉડાવવાનો નિર્ણય કર્યો છે. ગત તા.૧ જૂનથી એર ઈન્ડિયા કંપનીએ મુંબઈ અને દિલ્હીની ૧-૧ ફ્લાઈટ કેન્સલ કરી દીધી હતી. ત્યારબાદ હવે ઈન્ડિગો કંપનીએ પણ નવી મુંબઈ અને હૈદરાબાદની રોજિંદી ફ્લાઈટ ઘટાડીને એકાંતરા દિવસો પર લાવી દીધી છે. હાલ રાજકોટ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાની મુંબઈ-૧ અને દિલ્હી-૧ ડેઈલી ફ્લાઈટ શરૂ છે.