મિલેનિયમ માર્કેટ-2 ફરી આગની લપેટમાં: 2 મહિનામાં બીજી ઘટનાથી સુરતના વેપારીઓમાં ફફડાટ
-
સુરતના ભાઠેના વિસ્તારની મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ-2 ના છઠ્ઠા માળે આજે ભીષણ આગ લાગી.
-
દુકાન નંબર 645 માં અચાનક આગ ફાટી નીકળતા કાપડનો મોટો જથ્થો બળીને ખાખ થયો.
-
15 જેટલા ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો.
સુરત શહેરના ભાઠેના વિસ્તારમાં આવેલું ટેક્સટાઇલ હબ આજે ફરી એકવાર આગની ચપેટમાં આવ્યું હતું. મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ-2 માં આજે (14 એપ્રિલ) અચાનક ભીષણ આગ ફાટી નીકળતા વેપારીઓ અને શ્રમિકોમાં અફરાતફરી મચી ગઈ હતી. માર્કેટના છઠ્ઠા માળે લાગેલી આ આગમાં કાપડનો લાખો રૂપિયાનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હોવાની આશંકા છે. ચોંકાવનારી વાત એ છે કે, છેલ્લા બે મહિનામાં આ જ માર્કેટમાં આગની આ બીજી મોટી ઘટના છે, જેને પગલે માર્કેટમાં ફાયર સેફ્ટીની સુવિધાઓ સામે અનેક સવાલો ઉભા થયા છે.
ઘટનાની વિગતો મુજબ, મિલેનિયમ માર્કેટ-2 ના છઠ્ઠા માળે આવેલી દુકાન નંબર 645 માં અચાનક આગ લાગી હતી. દુકાનમાં કાપડનો જથ્થો હોવાથી આગે પળવારમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને ધુમાડાના ગોટેગોટા આખી માર્કેટમાં પ્રસરી ગયા હતા. આગને જોઈને માર્કેટમાં હાજર સેંકડો વેપારીઓ અને શ્રમિકો જીવ બચાવવા માટે બહાર દોડી આવ્યા હતા. અનેક વેપારીઓએ તો પોતાની દુકાનોમાંથી કિંમતી કાપડનો જથ્થો તાત્કાલિક નીચે ઉતારવાનું શરૂ કરી દીધું હતું.
આગની જાણ થતા જ સુરત ફાયર વિભાગની 15 જેટલી ગાડીઓ અલગ-અલગ ફાયર સ્ટેશનથી ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર જવાનોએ છઠ્ઠા માળ સુધી પાઈપ લાઈનો લંબાવીને ચારેતરફથી પાણીનો મારો ચલાવ્યો હતો. કાપડનો જથ્થો હોવાને કારણે આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ હતો, પરંતુ ફાયર જવાનોની સમયસૂચકતાને કારણે આગ અન્ય દુકાનોમાં પ્રસરતા અટકી હતી. કલાકોની જહેમત બાદ આગને પૂર્ણપણે કાબૂમાં લેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, અગાઉ 20 ફેબ્રુઆરીના રોજ પણ આ જ માર્કેટમાં વહેલી સવારે આગ લાગી હતી, જેમાં કરોડોનું નુકસાન થયું હતું. બે મહિનાની અંદર જ બીજી વખત આગની ઘટના બનતા વેપારીઓમાં ભયનો માહોલ છે. વેપારીઓ આક્ષેપ કરી રહ્યા છે કે માર્કેટમાં વારંવાર આવી ઘટનાઓ કેમ બની રહી છે તેની ગંભીર તપાસ થવી જોઈએ. સદનસીબે, આગ લાગી ત્યારે દુકાનમાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે.
હાલમાં ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી પૂર્ણ કરી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ જવાબદાર હોવાનું મનાય છે, પરંતુ વારંવાર લાગતી આગ પાછળ કોઈ બેદરકારી છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે. આ ઘટનાને પગલે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં માર્કેટની આંતરિક સુરક્ષા અને ઇલેક્ટ્રિક વાયરિંગના મેન્ટેનન્સ અંગે ગંભીર ચર્ચાઓ શરૂ થઈ છે.