દેશમાં સૌથી વધુ યોગ શિક્ષકો અને યોગ વર્ગો ધરાવતું રાજ્ય બન્યું ગુજરાત
યોગ બોર્ડે 6 વર્ષમાં 1.5 લાખ યોગ ટ્રેનર્સ તૈયાર કર્યા : માત્ર એક વર્ષમાં 8 લાખથી વધુ નાગરિકો જોડાયા યોગ શિબિરોમાં
સિટી ન્યૂઝ@રાજકોટ
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૬ પૂર્વે ગુજરાતે યોગ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલ રાજપૂતે જણાવ્યું છે કે રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત આજે દેશમાં સૌથી વધુ યોગ શિક્ષકો અને સૌથી વધુ યોગ વર્ગો ધરાવતું રાજ્ય બની ગયું છે. રાજ્યભરમાં હાલમાં ૪,૯૮૫થી વધુ નિશુલ્ક યોગ વર્ગો કાર્યરત છે, જેમાં દરરોજ અંદાજે ૪થી ૫ લાખ નાગરિકો યોગાભ્યાસ કરે છે.
રાજપૂતે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યોગને વૈશ્વિક જનઆંદોલન બનાવવાના વિઝનને સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. રાજ્યમાં યોગ બોર્ડની સ્થાપના બાદ યોગ પ્રવૃત્તિઓને અભૂતપૂર્વ વેગ મળ્યો છે અને આજે યોગ માત્ર વરિષ્ઠ નાગરિકો પૂરતો મર્યાદિત ન રહી બાળકો, યુવાનો, મહિલાઓ, ઉદ્યોગકારો, સરકારી અધિકારીઓ અને વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા લોકોની દૈનિક જીવનશૈલીનો ભાગ બન્યો છે.
યોગ બોર્ડે છેલ્લા ૬ વર્ષમાં ૧.૫૦ લાખથી વધુ પ્રમાણિત યોગ ટ્રેનર્સ તૈયાર કરીને રાજ્યમાં યોગ શિક્ષણનું વિશાળ નેટવર્ક ઊભું કર્યું છે. સાથે જ નાગરિકોને ગુણવત્તાયુક્ત માર્ગદર્શન મળી રહે તે માટે ૭૫૦ યોગ કોચની કાયમી નિમણૂક કરવામાં આવી છે.
રાજ્યવ્યાપી આરોગ્ય જાગૃતિ અભિયાનના ભાગરૂપે વર્ષ ૨૦૨૬ દરમિયાન યોજાયેલી ૭૬૩ યોગ શિબિરોમાં ૮.૦૪ લાખથી વધુ નાગરિકોએ ભાગ લીધો છે. જ્યારે વર્ષ ૨૦૨૦થી અત્યાર સુધી યોજાયેલા ‘યોગ સંવાદ’ કાર્યક્રમોમાં ૧૨.૧૭ લાખથી વધુ લોકો સહભાગી બન્યા છે.
બાળકો અને યુવાનોમાં સ્વસ્થ જીવનશૈલીના સંસ્કારો વિકસે તે માટે યોજાતા નિશુલ્ક સમર યોગ કેમ્પોમાં છેલ્લા ચાર વર્ષમાં ૭૬ હજારથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા છે. બીજી તરફ, “મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન” અંતર્ગત યોજાયેલા વિશેષ યોગ કેમ્પોમાં ૨૫ હજારથી વધુ નાગરિકોએ ભાગ લઈને સ્થૂળતા સામે સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ લીધો છે.
રાજપૂતે જણાવ્યું કે “હર ઘર યોગ” અને “નિરમય ગુજરાત”ના ધ્યેય સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ રાજ્યના દરેક જિલ્લા, તાલુકા અને ગામડાં સુધી યોગને પહોંચાડ્યા છે.